મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

Nagarik-Dharma-Mahamari-Civilian-Duty-Pandemic-Chirag-Thakkar-Jay

હવે તો આંખો સ્વજનો, સ્નેહીજનો અને પરિચિતોની અંતિમ તસવીરો જોઈને થાકી ગઈ છે અને આંગળીઓ ‘ઓમ શાંતિ!’ લખી લખીને! દરરોજ અશુભ સમાચાર જ આવી રહ્યા છે.

પ્રશાસન આંકડાની રમત રમી રહી છે અને પ્રતિબદ્ધતા નથી બતાવી શકી એ તો ‘ઓપન સિક્રેટ’ છે. તેનાથી વિપરિત આપણી મેડિકલ સિસ્ટમ તો પોતાનું એડીચોટીનું જોર લગાવીને કામ કરી જ રહી છે. આપણે જાણીએ જ છીએ કે પૂરતી વ્યવસ્થાઓ અને સાધન-સરંજામ નથી તેમ છતાં એ તંત્ર તો પોતાનું 110% આપી રહ્યું છે.

પણ જનતા તરીકે આપણે શું કર્યું છે એનો હિસાબ લીધો છે? આપણે આ મહામારીમાં માનવતા તો દાખવી શક્યા છીએ પણ નાગરિકધર્મ અવશ્ય ચૂક્યા છીએ.

Continue reading “મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!”

ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?

Gujarati-Translated-Books-More-Expensive-Than-English-Chirag-Thakkar-Jay

અનુવાદક તરીકે જ્યારે લોકોને મળવાનું થાય ત્યારે અમુક પ્રશ્નો તો કાયમ પૂછાતાં હોય છે. જેમ કે,

આનો જવાબ તો એકદમ સરળ અને સમજી શકાય તેવો છે, માત્ર સમજવાની તૈયારી હોવી જોઇએ. મૂળ પ્રશ્ન અર્થશાસ્ત્રનો જ છે. અંગ્રેજી પુસ્તકનાં પ્રકાશનને ગુજરાતી પુસ્તકનાં પ્રકાશન સાથે સરખાવવાથી આ વાત એકદમ સરળતાથી સમજી શકાશે.

અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન

અંગ્રેજી વિશ્વ ભાષા છે, સમગ્ર જગતને જોડતી કડી છે. માટે અંગ્રેજી વાંચી શકતો વર્ગ ઘણો જ વિશાળ છે. આ બહોળા વાચકવર્ગને કારણે,

  • પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ બહુ મોટા પાયે શક્ય બને છે.
  • લેખકને રોયલ્ટી સ્વરૂપે મોટી રકમ ચૂકવવામાં આવે, તો પણ પુસ્તકની નકલદીઠ તે રકમ ઓછી જ રહે છે.
  • પુસ્તકો પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ બે સ્વરૂપે છાપવાં શક્ય બને છે અને કિન્ડલ જેવા પ્લેટફોર્મ પર ઇ-બુક સ્વરૂપે પણ વેચી શકાય છે.

ઉદાહરણ તરીકે આપણે ભારતના લોકપ્રિય લેખકો અમીશ અને અશ્વિન સાંઘીના પુસ્તકો લઈએ.

Continue reading “ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?”

ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’નું ‘તણખા મંડળ’

Gaurishankar Joshi Dhoomketu Tankhamandal Short Story Chirag Thakkar ગૌરી શંકર જોશી 'ધૂમકેતુ' તણખા મંડળ ટૂંકી વાર્તા ચિરાગ ઠક્કર 'જય'

ઘણા મિત્રો કદાચ તેમનાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા હશે માટે તેના લેખકના નામ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’થી તો જરૂર પરિચિત હશે. સતત સર્જનશીલ રહેલા સાહિત્યકાર શ્રી ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ને કયો સાહિત્યપ્રેમી ગુજરાતી નહીં ઓળખતો હોય? કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’થી જન્મેલી ગુજરાતી ટૂંકીવાર્તાને ઉછેરીને યુવાનીના ઉંબરા સુધી લઇ આવનારા ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું અત્યંત મહત્વનું સીમાચિહ્ન છે.

શ્રી ઉમાશંકર જોશીએ એકવાર તેમના વિષે લખ્યું હતું,

ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢમૂલ થયો…ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતાં એ વખતે હિંદમાં પાંચ-છ વાર્તાલેખકો હોય તો પણ મોટી વાત છે.

તેમણે કુલ અગિયાર ખંડમાં પથરાયેલી તેમની નવલિકાઓ દ્વારા વાચકોને મહાલવા માટે એક રસપ્રચુર સંસારનું નિર્માણ કરી આપ્યું છે. આ ઉપરાંત ચૌલુક્ય યુગની સોળ, ગુપ્ત યુગની તેર અને સાત સામાજિક નવલકથાઓ તથા સાત જીવનલક્ષી કૃતિઓ, નવ ચિંતનાત્મક કૃતિઓ અને બાલસાહિત્યના બાંસઠ જેટલાં પુસ્તકો પણ આપ્યા છે. તેમના વિષે અને તેમના સર્જનો વિષે ઘણું બધું લખાયું છે માટે મારા જેવાની વાત તો નગારખાનામાં તતૂડીના અવાજ જેવી જ લાગે તેમ છતાં અહીં તેમણે ટૂંકી વાર્તા વિષે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેની વાત કરવી છે.

Continue reading “ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’નું ‘તણખા મંડળ’”

Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ

Super Deluxe Vijay Sethupathi Movie Review Chirag Thakkar

ખાંટુ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ

વર્ષ 2001માં જ્યારે આ યુગના સૌથી પ્રભાવક ફિલ્મ દિગ્દર્શકોમાંના એક એવા સ્ટીવન સ્પીલબર્ગ ‘A.I. Artificial Intelligence‘ ફિલ્મ લઇને આવ્યા, ત્યારે દર્શકો અને વિવેચકોને તે બહુ જ ગમી હતી. સાયન્સ ફિક્શન સ્વરૂપે રજૂ થયેલી એ ફિલ્મના અંતમાં બહુ જ ખૂબીથી માનવતા વ્યાખ્યાયિત થતી હતી. એ સમયે એમ લાગતું હતું કે માનવતાની આનાથી વધારે સારી અને પ્રેરણાત્મક વ્યાખ્યા કોઈ આપી શકશે નહીં.

A.I. Artificial Intelligence

Super Deluxe Vijay Sethupathi-Movie Review Chirag Thakkar AI Artificial Intelligence Steven Spielberg Movie
સ્ટીવન સ્પીલબર્ગની A.I. Artificial Intelligence ફિલ્મનું પોસ્ટર

એ ફિલ્મની વાર્તા ટૂંકમાં કંઇક આવી હતી. બહુ દૂરના નહીં એવા ભવિષ્યમાં એક દંપતીનું બાળક અસાધ્ય રોગથી પીડાતું હોવાથી તેને ઘણા સમયથી મૂર્છિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. સંતાનની ખોટ પૂરવા એ દંપતી ડેવિડ નામના એક રોબોટિક બાળકને દત્તક લે છે. આ રોબોટ દેખાવમાં તમામ રીતે સામાન્ય બાળક જેવો જ છે. થોડાક સમય પછી દંપતીના બાળકના રોગની સારવાર શોધાઇ જાય છે અને તે સાજો થઇને પાછો આવે છે. એ પછી સાચા બાળક અને આ રોબોટિક બાળક વચ્ચે માતાનો પ્રેમ પામવાની જે સ્પર્ધા થાય છે તે ડેવિડને એવી યાત્રાએ લઈ જાય છે જે અંતમાં માનવ હોવાની વ્યાખ્યા સુધી પહોંચે છે.

Continue reading “Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ”

સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી

Stieg Larsson The Girl Millennium Trilogy Book Review Chirag Thakkar Jay

જેમણે અશ્વિની ભટ્ટની ‘કટિબંધ’ વાંચી હશે તેમને એક વિચાર તો આવ્યો જ હશે કે ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા ત્રણ અલગ-અલગ નવલકથા તરીકે પણ અવશ્ય વાચકોને જકડી રાખત અને તેમ છતાં લેખકે તેમને બખૂબી એક તાંતણે બાંધીને વધારે મજબૂત નવલકથા આપી છે.

આવી જ રસપ્રચુર નવલકથાત્રયી (ટ્રિલોજી) છે સ્ટીગ લાર્સન (Stieg Larsson) કૃત ‘મિલેનિયમ ટ્રિલોજી’. જ્યારે સ્ટીગ લાર્સનની ‘મિલેનિયમ ટ્રિલોજી’ વાંચવા હાથમાં લીધી ત્યારે એવો કોઈ જ અણસાર નહોતો કે તેઓ આટલા પ્રિય થઈ પડશે. પણ તેમની ત્રણેય નવલક્થાઓ વાંચીને અનાયાસે એક હાયકારો નીકળી ગયો, “બસ, આટલું જ? હજી લખો…” પણ તેમની ‘મિલેનિયમ ટ્રિલોજી’ તો મરણોત્તર પ્રગટ થઈ હતી! જેમને કદી જોયા નહોતા કે જાણ્યા નહોતા, માત્ર વાંચ્યા જ હતાં તેમના ન હોવાથી કેમ આટલો અફસોસ થતો હશે?

આની પહેલા આવું બન્યું હતું 1998માં. એક સાંજે હરકિસન મહેતાની ‘જડ-ચેતન’નો પહેલો ભાગ હાથમાં હતો અને એક મિત્રનો ફોન આવ્યો. જેવો ફોન ઉપાડ્યો કે તેણે કહ્યું, “તારા વાળા પેલા હરકિસન મહેતા તો ગયા.” મને ધ્રાસ્કો પડ્યો. મેં જે સાંભળ્યું અને હું જે સમજ્યો તે સાચું કે ખોટું તેની ખાતરી કરવા મે પૂછ્યું, “ફરીથી કહે તો?” મિત્રએ કહ્યું, “પેલા લેખક…એ તો ગયા હવે ભગવાનના ઘરે.” અને મારાથી ‘જડ-ચેતન’ના પાછલાં પૂઠાં પર તેમનો ફોટો જોવાઈ ગયો. દિલમાં ડૂમો ભરાઈ ગયો. કોઈની નજરે ન પડે એટલે ઘરના ઉપરના માળે જઈને છાનું-છાનું રડી પણ લીધું.

Continue reading “સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી”

એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મુલાકાતઃ સાદગીના વૈભવના સાક્ષી

Meeting APJ Abdul Kalam Chirag Thakkar Book Launch of Translation of 'Squaring The Circle' વિકસિત ભારતની ખોજ

જ્યારથી એવા સમાચાર મળ્યા કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એપીજે અબ્દુલ કલામને મળવા જવાનું છે ત્યારથી એ દિવસથી રાહ જોતો હતો. ઘરમાં કે મિત્રવર્તુળમાં કોઈને વાત પણ નહોતી કરી કારણ કે આવી ઘટનાઓમાં ઘણાં ‘જો’ અને ‘તો’ હોય છે અને છેલ્લી ઘડીએ કંઇક લોચો તો પડશે જ એમ મનથી થતું હતું.

પણ છેવટે એ દિવસ આવી પહોંચ્યો હતો. (03/01/2014) એકબાજુ અમદાવાદના કનોરિયા સેન્ટરમાં શરૂ થઈ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)માં હાજર રહેવાની તાલાવેલી હતી તો બીજી બાજુ કલામ સાહેબને મળવાની અદમ્ય ઝંખના હતી. તો પણ જીએલએફના ઉદ્દઘાટનમાં તો પહોંચી જ ગયો અને એ સાહિત્યોત્સવ માણતો રહ્યો. જોકે ત્યાં મારા પ્રકાશક રોનક શાહ (નવભારત સાહિત્ય મંદિર) મળી ગયા અને મને તેમણે યાદ અપાવ્યું કે મારે શાહીબાગ સમયસર હાજર રહેવું જરૂરી છે. એટલે ઉદ્દઘાટન સમારોહ પત્યા પછી મારે નીકળી જવું પડ્યું.

ઉત્તેજના એટલી હતી કે બધા કરતા સૌથી પહેલા હું જ ત્યાં પહોંચી ગયો. આમ તો રાહ જોવામાં કંટાળો આવત પણ શાહીબાગના એ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણવમાં અને ખાસ તો મુક્ત મને વિહરતા મોર જોવામાં સમય વીતી ગયો. સાડા ત્રણ વાગે મુલાકાતનો સમયે હતો ત્યારે અમારી ટીમના એક સિવાય બધા જ આવી ગયા હતા. એ એક વ્યક્તિની રાહમાં અમારે દસ મિનિટ રોકાવું પડ્યું થયું અને એ દરમિયાન કલામ સાહેબને લંચ માટે બેસાડી દેવામાં આવ્યા. એટલે અમારે થોડીક વધારે રાહ જોવી પડી.

Continue reading “એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મુલાકાતઃ સાદગીના વૈભવના સાક્ષી”

‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા

Harkisan Mehta Pila Rumalni Ganth Gujarti Novel Book Review Chirag Thakkar

શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતાં તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાના તાણાવાણાથી ગૂંથાયેલી હોય? અને તમને એમ કહેવામાં આવે કે આવા ‘બોલ્ડ’ વિષય પર ઈ.સ. 1968માં નવલકથા લખાયેલી હતી અને એ નવલક્થામાં ઓગણીસમી સદીની શરૂઆતના સમયનું આલેખન છે, તો તમે માનશો? એ નવલકથા એટલે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને એ સાહસિક નવલકથાકાર એ બીજા કોઈ નહિ પણ શ્રી હરકિસન મહેતા.

સુરેશ દલાલે એક વાર કહ્યું હતું કે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ એ ગુજરાતી સાહિત્યના બે લોચન સમા નવલક્થાકાર છે. આ બંને નવલકથાકારો પાસે વાચકની નાડ પારખવાની અદ્દભુત સૂઝ છે. નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. જોકે બંનેની શૈલીમાં એક પાયાનો તફાવત છે જે કોઈની પણ આંખે ઊડીને વળગે અને તે છે તેમણે વાપરેલી ભાષા. સાતમા ધોરણમાં ભણતા કિશોર માટે અશ્વિની ભટ્ટને વાંચવા દુષ્કર તો નહિ પણ મુશ્કેલ જરૂર છે જ્યારે એ જ કિશોર હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. અશ્વિની ભટ્ટ પાસે પોતાનો એક આગવો શબ્દકોષ છે અને યોગ્ય જગ્યાએ જરૂરિયાત અનુસાર ગુજરાતી ભાષા સિવાયના શબ્દો વાપરતા તેઓ બિલકુલ અચકાતા નહીં. જ્યારે હરકિસન મહેતા મોટાભાગે લોકકોષ વડે જ કામ ચલાવી લેતા અને છતાં પણ પોતાની વાતને તેઓ બખૂબી રજૂ કરી દેતા.

આજ કારણે અશ્વિની ભટ્ટથી પહેલાં હરકિસન મહેતાની લેખનીનો પરિચય થયો હતો. પહેલાં તેમની નવલકથા ‘ભેદ-ભરમ’ વાંચી અને ત્યાર બાદ એક પછી એક બધી જ નવલકથાઓ વાંચી નાખી. તેમની તમામ નવલકથાઓમાં સૌથી વધુ ગમે ‘જડ-ચેતન’ કારણ કે તેના જેવી પ્રણયકથા આજ સુધી બહુ જ ઓછી લખાઇ છે. અદ્ભુત! (પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ અને ભગવતીકુમાર શર્માની ‘અસૂર્યલોક’ પણ એટલી જ ગમે છે.) બીજા ક્રમે આવે ‘લય-પ્રલય’ અને ‘વંશ વારસ’. બાળપણમાં આર. એલ. સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઈલેન્ડ’નો અનુવાદ વાંચ્યો ત્યારથી દરિયાઇ કથાઓનું આકર્ષણ હતું. ત્યાર બાદ ગુણવંતરાય આચાર્યના ઘણા પુસ્તકો વાંચ્યા. એ પુરાતન સમયની કથાઓ જેટલી જ આધુનિક સમયમાં સર્જાયેલી ‘લય-પ્રલય’ પણ સ્પર્શી ગઈ અને પ્રિન્ટ મિડિયાનું આકર્ષણ (તથા ઇરવિંગ વૉલેસની ‘ધી ઑલમાઈટી’નો ઉપયોગ) ‘વંશ વારસ’ પ્રતિ આકર્ષિત રાખે છે. ત્રીજા ક્રમે પણ બે નવલકથાઓ મૂકું છું કારણ કે બંનેમાં ઘણી સામ્યતાઓ છે. બંનેના નાયક ખરેખર પ્રતિનાયક છે, બંને કાલ્પનિક નહિ પરંતુ સાચા પાત્રો છે અને બંને નવલકથાઓ ત્રણ ભાગમાં વહેચાયેલી છેઃ ‘જગ્ગાડાકુનાં વેરનાં વળામણાં’ અને ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’.

Continue reading “‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા”

ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન

Wastage of Youth in India Due To Social System Chirag Thakkar

(આ લેખ સૌ પ્રથમ પ્રિય વિપુલ કલ્યાણીએ ‘ઓપિનિયન‘ના જાન્યુઆરી 2012ના અંકમાં પ્રસિદ્ધ કર્યો. પછી શ્રી પ્રકાશ ન. શાહે 1-2-2012ના ‘નિરીક્ષક’માં તેનું પુનર્મુદ્રણ કર્યું અને જૂન 2012માં ‘નવનીત સમર્પણ‘માં પણ તેને સ્થાન મળ્યું. એટલે આજની ભાષામાં કહીએ તો આ લેખ એ સમયે વાઇરલ થયો હતો. આ વર્ષે જ્યારે ‘ઓપિનિયન’ મેગેઝિન રજત જયંતીની ઉજવણી કરવા જઇ રહ્યું છે, ત્યારે આ લેખ અહીંયા રજૂ કરીને એ સામાયિકનું અને તેમાં સૌના અભિપ્રાયોને મળેલા નિષ્પક્ષ સ્થાનનું સાદર સ્મરણ કરું છું.)

યુ.કે.ના 6 વર્ષના નિવાસ દરમિયાન અહીં વસેલા ભારતીય સમુદાયનો બહોળો પરિચય થયો. અને તેમાં પણ એવા લોકો કે જે હજારો પાઉન્ડ ખર્ચીને વિઝા એક્સ્ટેન્શન કે રિન્યુઅલ કરાવતાં રહીને આ દેશમાં ટકી રહેવાની મથામણ કરતાં રહે છે, એ વર્ગનો પ્રગાઢ પરિચય પામ્યો છું કારણ કે હું પણ એમાંથી જ એક છું. જ્યારે-જ્યારે પણ એ સંબંધ ઓળખાણથી એક ડગલું આગળ વધ્યો છે, ત્યારે-ત્યારે એ દરેક વ્યક્તિની આંખમાં આંખ મેળવીને એક પ્રશ્ન અવશ્ય કર્યો છે, “યુ.કે. કેમ આવવું પડ્યું?” અને જેમ-જેમ જવાબો મળતા ગયા, તેમ-તેમ ભારતીય સમાજમાં અને ખાસ કરીને નવી પેઢીમાં જે દાહક સમસ્યા છે, તેનો પરિચય પામતો ગયો.

મૌલિન પટેલ ગર્ભશ્રીમંત સંતાન અને ખૂબ જ સંસ્કારી. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે “ભાઈ, તારે તો બધી રીતે સારું છે, તો ભારતથી અહીં કેમ આવવું પડ્યું?”, ત્યારે તેના ચહેરા પર એવા હાવભાવ આવી ગયા જાણે કે લબકારા મારતા ઘા પર બીજો ઘા પડ્યો હોય! તેનો જવાબ પણ રસપ્રદ હતો. તેણે કહ્યું કે તે બી.એસ.સી. કરતો હતો, તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તે છોકરી પણ પટેલ હતી અને છોકરો પણ પટેલ હતો માટે બંનેના મમ્મી-પપ્પા થોડીક આનાકાની બાદ આ સંબંધ સ્વીકારવા તૈયાર થઈ ગયાં પણ મૌલિનની મોટીબહેનની સાસુને આ વાત પસંદ ન પડી. એ અડિયલ સાસુનું એવું કહેવું હતું કે છોકરી લેઉવા પટેલ છે અને છોકરો કડવા પટેલ છે માટે જો આ લગ્ન થાય, તો જ્ઞાતિમાં બદનામી થાય. એ સાસુમાએ એવી આડકતરી ધમકી પણ આપી કે જો મૌલિનને એ છોકરી સાથે પરણાવવામાં આવશે તો તેને કારણે મૌલિનની બહેનને ઘણું દુઃખ વેઠવું પડશે. માટે મૌલિનના લગ્ન થઈ શક્યા નહી. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતાં મૌલિન અને તે છોકરીએ વિદેશ, એટલે કે યુ.કે.નો રસ્તો પકડ્યો અને હવે તેઓ યુ.કે.માં લગ્નની ગાંઠે બંધાઈ ગયા છે અને ભારત દેશમાં મળેલી તાલીમનો ઉપયોગ અહી યુ.કે.માં કરી રહ્યાં છે.

Continue reading “ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન”

ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay

પુસ્તકની શરૂઆતમાં જ વાંચ્યુંઃ “અર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણને” અને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે આ કોઈ બીબાંઢાળ પુસ્તક નથી.

પછી ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે…મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધુ આપણી પર જ છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.

પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા છે પણ તે ખૂબ જ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પાના નંબર 25 પર નાયક કહે છે કે “આ નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.” ત્યારે આપણને આ નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે.

શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, “ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.” (પાના નં. 21) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, “હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.” (પાના નં. 32) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે, “આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.” (પાના નં. 28)

Continue reading “ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’”

શું પાર્ટી, ઓળખાણ પડી?

Facial Recognition Hasyalekh Chirag Thakkar Jay

સામાજિક પ્રસંગમાં કે જાહેર સ્થળે અચાનક કોઈ આવીને ખભે હાથ મૂકીને અસલ અમદાવાદી સ્ટાઇલમાં પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે ટોપલેસ બારમાં જઈ ચડેલા અંડર-એજ કિશોર જેવી મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા થાય છે. કહેવું હોય કે “પડે જ ને…કેમ ઓળખાણ ન પડે?” પણ જો ઓળખાણ ન પડી હોય તો મારા જેવાની શું હાલત થાય?

ચહેરાઓ યાદ રાખવા બાબતે મારી પરિસ્થિતિ એટલી આદર્શ છે કે જો મારી સામે માધુરી દીક્ષિતની દસ અલગ-અલગ તસવીરો મૂકવામાં આવે અને એવો પડકાર ફેંકવામાં આવે કે “આમાંથી માધુરી ઓળખી બતાવ તો જરા…” તો એવા સમયે હું અચૂક મૂંઝાઈ જાઉં. વધુમાં વધુ સારું પરિણામ એ મળી શકે કે હું કોઈ ત્રણ તસવીરો પસંદ કરીને એમ કહું, “આ ત્રણમાંથી એક માધુરી હોવી જોઇએ.”

પૂછનારા રસિકજનો પાછા એમ પણ પૂછશે કે ‘લગભગ’ નિવૃત્ત થઈ ગયેલી માધુરીના બદલે કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ કે પ્રિયંકા ચોપરા જેવી હિરોઇન કે પૂનમ પાંડે, સની લિઓની જેવી સમાજ સેવિકાઓનું ઉદાહરણ આજના સમયમાં વધારે યોગ્ય ન ગણાત? પણ એનો જવાબ એમ છે કે આ લેખ ચહેરાઓની સ્મૃતિ વિષે છે અને આ સન્નારીઓ ચહેરાને બતાવવા જેવું અંગ જ ક્યાં માને છે?! એમના ચહેરા સામે જોવા જતા આડેપાટે ચડી જવાનો ભય વધારે હોય છે. જોયું, આ નાનકડા લેખનો એક આખો ફકરો પણ આડેપાટે ચડી ગયોને!

હા, તો મૂળ વાત છે ચહેરા યાદ રાખવાની અને આપણી (એટલે કે મારી) એ બાબતની શક્તિ એકદમ ઓછી છે. ફેસિયલ રિકોગ્નિશનના સોફ્ટવેરમાં જ ખામી હશે. એમાંય કેટલાંક વર્ષો ભારત બહાર રહ્યા પછી સમયની જંગી સોયે કેટલીય સ્મૃતિઓને ગ્રામોફોન રેકર્ડની જેમ ઘસી નાખી છે. એમાં પણ જ્યારે કોઇ સામાજિક પ્રસંગે ભરપેટ પકવાનો ખાઇને આઇસ્ક્રીમ ખાતા હોઇએ ત્યારે તો શરીરના તમામ અંગો ‘હાઇબરનેટ’ થવાની તૈયારીમાં લાગી ગયા હોય છે. શીતનિંદ્રાના પૂર્વાલાપ જેવી એ પરિસ્થિતિમાં કોઇ ચહેરો અચાનક આપણા ચહેરાની બરોબર સામે ઝળૂંબતા ઝળૂંબતા એમ પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે વાસ્તવમાં ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે.

Continue reading “શું પાર્ટી, ઓળખાણ પડી?”