ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay

પુસ્તકની શરૂઆતમાં જ વાંચ્યુંઃ “અર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણને” અને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે આ કોઈ બીબાંઢાળ પુસ્તક નથી.

પછી ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે…મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધુ આપણી પર જ છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.

પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા છે પણ તે ખૂબ જ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પાના નંબર 25 પર નાયક કહે છે કે “આ નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.” ત્યારે આપણને આ નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે.

શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, “ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.” (પાના નં. 21) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, “હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.” (પાના નં. 32) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે, “આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.” (પાના નં. 28)

પણ ધીમે-ધીમે પ્રકૃતિના ખોળે વિવિધ પાત્રોને મળતાં મળતાં અને માણતાં માણતાં કથાનાં મધ્યાંતર સુધીમાં તેનો આ અહમ ઓગળવા માંડે છે. અમાસના દિવસે દરિયો નહાવા આવેલા ગ્રામ્યજનો સાથે તે એકરૂપ થઈ જાય છે અને પ્રસંગને માણવા માંડે છે ત્યારે તેને પોતાને પણ નવાઈ લાગે છે કે “એકદમ સ્વાભાવિક રીતે હું આ લોકો સાથે ભળી કેમ શક્યો? તે મારામાં રહેલો સભ્ય જીવ સમજી નથી શકતો.” (પાના નં. 65) ધીમે-ધીમે નાયક આ પ્રાકૃતિક વાતાવરણ અને તેમાં વસતા લોકોને ચાહવા લાગે છે અને તેના મનમાં એક સંઘર્ષ આકાર લે છે. તે વિચારે છે કે “વૃક્ષોનું ન હોવું, ખેડી શકાય તેવી ભૂમિનું ન હોવું, અને પાંખી માનવ વસ્તીનું હોવું એટલા માત્રથી કોઈ સ્થળ ઝેરી રસાયણો બનાવવા માટે યોગ્ય નથી બની જતું.” (પાના નં. 116)

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay
શ્રીમતીજી સાથે ધ્રુવ ભટ્ટ (તસવીરઃ મેઘા જોષી)

બે વર્ષના આ પ્રદેશના સહવાસ બાદ નાયક પોતે પણ આ ધરતી સાથે માયા અનુભવતો થઈ જાય છે. “એક દિવસ જે પ્રદેશ મને પોતાને અળખામણો લાગતો હતો, તે જ પ્રદેશમાં આવીને મારા મિત્રો રહે તેવી ઈચ્છા આજે મને થાય છે. ધરતીનો આ જાદુ છે.” (પાના નં. ૧૩૬) વિવિધ સ્તરનાં અનેકાનેક પાત્રોને અખૂટ સંઘર્ષ કરી પણ ‘હાકલા છે’ વાળું જીવન જીવતાં જોઈને નાયક વિચારે છે, “આ શક્તિ ક્યાંથી આવે છે! તે વિચારું છું તો મનમાંથી ઉત્તર મળે છે ‘પ્રકૃતિ પાસેથી.’ મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે, સ્વાભાવિકતા, નિર્દંભીપણું, અભય અને જેવા છીએ તેવા દેખાવા જેટલી સરળતા.” (પાના નં. 155)

પ્રકૃતિથી વિમુખ થયેલાં, ચેતનહીન અને જડ જીવનની પ્રકૃતિ તરફની, ચેતના તરફની ગતિ આ કથાનું મુખ્ય વિષયવસ્તુ બનીને તરી આવે છે. છેલ્લાં પ્રકરણમાં નાયક જ બોલી ઊઠે છે, “હું સ્વીકારું છું કે ધરતી ખરેખર સાદ કરતી હોય છે અને કેટલાક વિરલજનો એ સાદ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે. પ્રકૃતિ અને માનવી વચ્ચે આ પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે જ. આ સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.” (પાના નં. 180)

સામાન્ય રીતે પાત્રો થકી વાર્તા કહેવાઈ હોય છે અને વાર્તા દરમિયાન પાત્રો વિકાસ પામતાં હોય છે. પણ આ પુસ્તકમાં તેનાથી ઊલટું છે. અહીં વાર્તા થકી પાત્રો કહેવાયાં છે અને પાત્રાલેખન દરમિયાન વાર્તા વિકાસ પામે છે. ઈસ્માઈલ, વાલબાઈ, જાનકી, સબૂર, પગી સરવણ, અવલ, નૂરભાઈ, બંગાળી બાબા, શામજી મુખી, વિષ્નો, ક્રિષ્નો ટંડેલ, બેલી, દયારામ, વિદેશી સાધ્વી, ગોપા આતા આવા ઘણા પાત્રો કથામાં આવતાં રહે છે અને તેમનાં થકી કથાનક વિકાસ પામે છે. અમુક પાત્રો અતિ લાઘવમાં રજૂ થયાં છે છતાં બધાં જ આપણને સ્પર્શી જાય તેવા છે કારણ કે તે આસમાનમાંથી ટપકી પડેલાં પાત્રો નથી પણ ધ્રુવ ભટ્ટે જોયેલાં, અનુભવેલા પાત્રો છે. એ જ કારણે આ બધાં પાત્રો વાસ્તવિક અને પોતિકા લાગે છે.

કથામાં ઈતિહાસ સ્વરૂપે આવતા હાદા ભટ્ટ, લેખકનો ઘોડો કબીરો, કથાને પોતાનું પાલવ ધરતો દરિયો પણ અગત્યનાં પાત્રો છે. એક બીજી વાત પણ નોંધવા જેવી છે કે કથામાં પરાશર, ડોકટર નિખિલ, સૌમિલ અને દરિયાની જાત્રાએ આવેલા પ્રવાસી જેવા ઘણા શહેરી પાત્રો પણ આવે છે અને તેમના માટે પણ આ કથામાં જગ્યા છે છતાં ધ્રુવ ભટ્ટે તેમને સભાનતાથી માત્ર જરૂરત જેટલાં જ આલેખ્યાં છે જેથી કથાનું પ્રાકૃતિક ગ્રામ્ય પોત જળવાઈ રહે. આમ જોવા જઈએ તો પોતાના જીવનમાં ક્યાંક મળેલા પાત્રોની સ્મૃતિને ચિરંજીવ રાખવા જ ધ્રુવ ભટ્ટે જાણે આ પુસ્તક સર્જયું હોય તેમ લાગે કારણ કે આટલાં નાનકડાં પુસ્તકમાં આટલાં બધાં પાત્રોની જરૂર નથી.

સૌથી રસપ્રદ પાત્રાલેખન થયું છે અવલનું, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં થાય કારણ કે એજ પાત્ર આ ‘લખાણ’ને આછી-પાતળી કથા પૂરી પાડે છે. બાકી બધાં પાત્રો તો આવતાં-જતાં રહે છે પણ અવલ દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક સંકળાયેલી લાગે છે. શરૂઆતમાં નાયકને અવલનું પાત્ર અળખામણું લાગે છે અને વાચકોને રહસ્યમય. પછી નાયકને એમ પણ લાગે છે તે અવલનો પીછો છોડાવવામાં સફળ થયા છે અને “હવે તે બંગલાની બાબતમાં દખલ કરવાની હિંમત નહીં કરે.” (પાના નં. 43)

પણ ધીરે-ધીરે તે પોતે જ અવલથી પ્રભાવિત થવા લાગે છે. સબૂરને જમીન આપવાની બાબતે અવલનું નાયકને સંભળાવવું કે “કર્યાનું ભાન રાખીએ તો ફળ ન મળે.” (પાના નં. ૫૭), “રસેલ્સ વાઈપર”નો અવલના મોઢેથી થતો ઉલ્લેખ (પાના નં. 122), છોકરાઓને લાકડા ચોરવામાં અવલ દ્વારા થતી મદદ (પાના નં. 157) અને અવલનું વીંછીને મારવા જતા નાયકને “એ જે હોય તે. અત્યારે આપણે આશરે છે.” (પાના નં. 165) એમ કહીને રોકવું એ અવલના પાત્રના વિવિધ પરિમાણો ઉઘાડી આપે છે. અવલનો ઈતિહાસ જાણ્યાં બાદ એ પાત્રની ઊંચાઈ પણ વધી જાય છે. નાયકનાં પોતાનાં મનમાં પણ અવલ વિષેનું આખું ચિત્ર બદલાઈ જાય છે તેમ નાયક મનોમન કબૂલે છે (પાના નં. 151). છેલ્લે જ્યારે દરિયાઈ તોફાન આવે છે અને અવલ બધાને કાળજીપૂર્વક સાચવે છે ત્યારે આપણને આખી કથામાં તે પાત્ર સૌથી ઉદાત્ત લાગે છે.

ઘણા સંવાદો ખૂબ જ સ્પર્શી જાય એવા છે. જેમ કેઃ “દરિયો ડોલમાં નો સામે બાઈ, ને ડોલમાં તો ઘેર ક્યાં નો’તો લવાતો?” (પાના નં, 63), “નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે. એક ઉપરવાળો ને બીજો દરિયો.” (પાના નં. 72), “આ દુનિયા માથે આદમીનો કેર ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.” (પાના નં. 107), “એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતાં. ઈનું એંઠું ખાવાની તમારી તિયારી હોય તો ખવરાવજો.’ (પાના નં. 129). આ સંવાદો સ્વાભાવિક પણ લાગે છે કારણ કે ધ્રુવ ભટ્ટને તે જીવનમાંથી મળેલા છે.

સાથે સાથે ભાષાનો જે તળપદો લહેકો પુસ્તકમાં જીલાયો છે તે પુસ્તકને વધુ માણવાં જેવું બનાવે છે. ‘ર્યો’ કે ‘ર્યુ’ જેવા તળપદા ઉચ્ચારણો સંવાદોમાં માટીની સુગંધ ભેળવી આપતા હોય તેમ લાગે છે. સમયનો ઘટના સંદર્ભઃ મોં-સૂઝણું, શિરામણટાણું, ધણવેળા, રોંઢાટાણું, ગોરજટાણું, ઝાલરટાણું (પાના નં. 61) અને શુક્રના ગ્રહ માટે ‘ફાનુસ’ અને ‘છોકરાં ઢીબણિયો’ના ઉપનામ (પાના નં. 100) હંમેશા માટે આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જાય તેવા છે. સાથે-સાથે એ પણ નોંધવું પડે કે શુદ્ધ છતાં સમજી શકાય તેટલા સરળ ગુજરાતીમાં ધ્રુવ ભટ્ટ જેવું લખનારા આપણી ભાષામાં જૂજ લેખકો જ હશે.

પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિથી આ નવલકથા આલેખાયેલી છે એટલે ધ્રુવ ભટ્ટનો અનુભૂતિ વાળો દાવો માની શકાય તેવો લાગે છે. ઘણીવાર કથક અને ધ્રુવ ભટ્ટ એકાકાર થતા જેવા મળે છે તો ક્યાંક-ક્યાંક સ્વયં ધ્રુવ ભટ્ટ જ કથકના મોઢેથી બોલી રહ્યાં હોય તેવું લાગે છે. જેમ કે પાના નં. 34 અને 35 પર શિક્ષણ વ્યવસ્થા વિષેની ટિપ્પણી વાળો પ્રસંગ અને તેના અંતમાં કથકનું વિધાન કે “મને થયું કે આખીયે શિક્ષણ વ્યવસ્થા બદલાવી જોઈએ.” બિનજરૂરી લાગે છે અને કથક દ્વારા ધ્રુવ ભટ્ટ પોતે જ બોલી રહ્યાં હોય તેવું લાગે. પણ આટલા મીઠા દૂધપાકમાં એકાદ ઈલાયચીનું ફોતરું આવી જાય તો દૂધપાકનો સ્વાદ થોડો બગડી જવાનો હતો? એ પણ દૂધ જોડે ગળા હેઠળ ઊતરી જ જાયને?

સૌથી છેલ્લે ધ્રુવ ભટ્ટે શામજી મુખીના ઘરે લખેલું ગીત ઉતારવાની લાલચ રોકી નથી શકતો કારણ કે આખા પુસ્તકની જેમ જ આ ગીત પણ માણવા જેવું છેઃ

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,

આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે એમ છલકાતી મલકાતી મોજ,

એકલો ઊભું ને તોય મેળામાં હોઉ એવું લાગ્યા કરે છે મને રોજ,

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,

અને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી,

વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે,

અને ઉપરથી કુદરતની રહેમ છે.

તા.ક. મોબાઇલમાં પુસ્તક વાંચવું જેમને અનુકૂળ આવતું હોય, તેઓ માતૃભારતી એપ પર આ નવલકથા વિનામૂલ્યે વાંચી શકે છે.

(‘સમુદ્રાન્તિકે’ના 2009 ના પુનર્મુદ્રણનો આ લેખ માટે ઉપયોગ કર્યો છે.

2010, લંડન)

10 thoughts on “ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

  1. સર,
    ગુજરાતી સાહિત્ય વાંચવાની શરૂયાત કરનાર માટે કાયા સાહિત્યકાર, લેખક, નવલકથાકાર ની બુક વાંચવી જોઈએ મને કોઈબૂકો નુ લિસ્ટ આપજો.
    આભાર.

    Like

    1. મિત્ર,
      વાંચવા જેવા પુસ્તકોની ગુજરાતીમાં કોઇ જ ખોટ નથી. તમને નવલકથાઓમાં રસ પડતો હોય, તો હરકિસન મહેતાથી શરૂ કરો. ધ્રુવ ભટ્ટના પુસ્તકો એકદમ ટૂંકા અને સ-રસ હોય છે માટે લાંબુ ન વાંચવું હોય, તો ત્યાંથી પણ શરૂઆત થઈ શકે છે. કંઇક અલગ દિશા પકડવી હોય તો ચંદ્રકાંત બક્ષીને પણ માણી શકો છો. નવોદિત લેખકોની કૃતિઓ પણ આધુનિક જમાના સાથે કદમ મિલાવતી આવે છે અને તમને કદાચ એમાં વધારે રસ પડે એમ પણ બને. ક.મા. મુનશી, ગો.મા.ત્રિ. અને મેઘાણી જેવા ક્લાસિકથી પણ તમે શરૂ કરી શકો છો. અને ધ અશ્વિની ભટ્ટની નવલકથાઓના વાંચન સિચાય તો ગુજરાતી ભાષાનું વાંચન જ અધુરું ગણાય. ટૂંકમાં ચોઇસ ઇઝ યોર્સ! લાઇબ્રેરીમાં જાવ અને તમને ગમે તે કે ગ્રંથપાલ સૂચવે તે પુસ્તકથી શરૂ કરો. ધીમે-ધીમે તમને પોતાને જ નવાં નવાં લેખકો અને પુસ્તકોનો પરિચય થતો જશે અને તમારી રુચિ સ્પષ્ટ બનતી જશે. જેમ તમે નવા શહેરમાં રહેવા જાવ અને ત્યાંની કઇ વાનગી તમને ભાવશે એ માટે અલગ અલગ જગ્યાઓની વાનગીઓ ખાતા જાવ અને એકાદ-બે વર્ષને અંતે તમારી પોતાની ફેવરિટ ડિશ કે જગ્યા નક્કી કરો, કંઇક એવી જ પ્રોસેસ પુસ્તક પસંદ કરવાની છે. વાંચતા રહો એ જરૂરી છે. ઓલ ધ બેસ્ટ! (બ્લોગ પોસ્ટ માટે આ ટોપિક સરસ છે. ક્યારેક એ વિષે પણ લખીશ.)
      કોમેન્ટ માટે આભાર.

      Like

      1. સર, ધ્રુવ ભટ્ટ ની સમુદ્રાન્તિકે વાંચી આમ તો એમાં વાંચી કરતા એ માહોલ નો પ્રત્યક્ષ અનુભવ થતો હોય એવું લાગ્યું. ખૂબ જ સરસ છે.

        હવે એક કોઈ ગઝલ માટે તમારું સૂચન આપવા વીનંતી.ગઝલ માટે કોને વાંચવાનું શરૂ કરી શકાય?

        Liked by 1 person

  2. સર, ધ્રુવ ભટ્ટ ની સમુદ્રાન્તિકે વાંચી આમ તો એમાં વાંચી કરતા એ માહોલ નો પ્રત્યક્ષ અનુભવ થતો હોય એવું લાગ્યું. ખૂબ જ સરસ છે.

    હવે એક કોઈ ગઝલ માટે તમારું સૂચન આપવા વીનંતી.ગઝલ માટે કોને વાંચવાનું શરૂ કરી શકાય?

    Liked by 1 person

    1. આભાર મિત્ર. ગુજરાતી ગઝલની પરંપરા તો બહુ સમૃદ્ધ છે. આસિમ રાંદેરી, ઘાયલ, મરીઝ, શૂન્ય પાલનપુરીમાંથી ગમે તેનાથી શરૂ કરી શકાય.

      Like

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s