અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં શ્રી રમણ સોની વતી અપાયેલું અધ્યક્ષીય વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. શ્રી રમણ સોનીએ તેમાં પ્રારંભે અનુવાદ એટલે શું અને અનુવાદનાં વિવિધ રૂપો અંગે ભૂમિકા બાંધી છે. એ પછી તેમણે અનુવાદકના પક્ષેથી અનુવાદની કળા અને તે અંગેના જરૂરી ગુણોની વાત કરી છે. પછી તેમણે વાચક પક્ષેથી સજ્જ ભાવક અને અનુવાદની સફળતા-નિષ્ફળતાની વાત કરી છે. અંતે તેમણે પરિષદને સુપ્ત અવસ્થામાં સરી પડેલા તેમના ‘અનુવાદ કેન્દ્ર’ને જાગૃત કરવાની ટકોર કરી છે. બેઠકમાં તેઓ સ્વયં હાજર નહોતા રહી શક્યા માટે તેમનું આ વક્તવ્ય અન્ય કોઈ દ્વારા વાંચવામાં આવ્યું હતું.)

ભૂમિકા

પ્રમુખશ્રી, સાથી વક્તા-મિત્રો તથા સુજ્ઞ સાહિત્યરસિકો. આ બેઠકના આરંભે, અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી ક૨વી છે – અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.

પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.

અનુવાદના રૂપો

તૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વૉયના ઈ મી૨’ના અંગ્રેજીમાં ‘વૉર ઍન્ડ પીસ’ નામે ઘણા અનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ’નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી… અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે – બે ભાષાઓ વચ્ચેના નાનાસ૨ખા અવકાશમાં આકાર લેતો સંવાદ’ 1 એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે’, એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ’ કહેવાથી ઉમેરાય છે – એ છે મૂળ કૃતિનાં સ્પર્શ અને સૂર. કેમકે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે. પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમજ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત ૫૨ ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તા૨માં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ-વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.

વાચકના સંવેદન-જગતના પરિપોષણની આ વાત 2010માં પ્રગટ થયેલા ‘વ્હાય ટ્રાન્સલેશન મૅટર્સ’ નામના પુસ્તકમાં એડિથ ગ્રોસમન2 જુદી રીતે મૂકી આપે છે. પહેલાં તો એ સહેજ રમૂજમાં કહે છે કે આપણી ભાષામાં જ જ્યારે થોકબંધ પુસ્તકો લખાયે જતાં હોય, એને જ આપણાથી પહોંચી વળાતું ન હોય, ત્યારે વળી પાછું અનુવાદોનું ઉમેરણ શા માટે? પણ પછી એના ઉત્તર રૂપે ગ્રોસમન કહે છે કે, ઉત્તમ અનુવાદો, અનુવાદ રહીને પણ મૌલિક લેખનનો એક વિશેષ દરજ્જો ધરાવે છે. અનુવાદ એ કંઈ મૂળ કૃતિનો ઝાંખો, મ્લાન પડછાયો નથી, એનું સ્થાન એક સ્વતંત્ર કૃતિની લગોલગ છે અને એથી અનુવાદોનું પણ આપણી ભાષાની ઉત્તમ રચનાઓની હરોળમાં સ્થાન હોઈ શકે.

અનુવાદની ઉપયોગિતા

આમાંથી બે મહત્ત્વની બાબતો ઊપસી રહે છે : એક તો એ કે, બીજી ભાષાની ઉત્તમ કૃતિઓના ઉત્તમ રીતે થયેલા અનુવાદો એ દ્વૈતીયીક કે બીજા સ્તરનું લેખન નથી, એ આપણી પોતાની કુલ સાહિત્યસંપદાનો જ એક ભાગ બને છે ને એ રીતે આપણા સાહિત્યજગતને સમૃદ્ધ કરે છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે ઉત્કૃષ્ટ અનુવાદો ક્યારેક આપણા મૌલિક સાહિત્યલેખનને માટે પણ પ્રેરક અને પથદર્શક બને છે. જગતની અન્ય ભાષાઓના પ્રતિભાશાળી સર્જકોની કૃતિઓના અનુવાદો આપણા સર્જકોની સામે એક વિધાયક પડકાર થઈને આવે છે ને ઘણીવા૨ તો એ મહત્ત્વનાં પ્રતિમાનો પણ બની રહે છે, ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ અને પ્રસાર થયો ત્યારે, એક અગત્યના પરિવર્તક બળ તરીકે અનુવાદોની મહત્ત્વની ભૂમિકા સ્થપાયેલી. સુરેશ જોષીએ મૌલિક સાહિત્યલેખન જેટલો જ અનુવાદોનો મહિમા પણ કરેલો. અલબત્ત, એ સમયે થોડોક અનુવાદ-અતિરેક થયાનું પણ કેટલાંકને લાગેલું. પરંતુ પસાર થયેલા સમયે ગાળી-ચાળીને ઉત્તમ અનુવાદ-કૃતિઓને જ સાચવી લીધી છે. મૂળ વાત તો, અનુવાદોએ રચેલા પ્રભાવની છે. બધી જ ભાષાઓનાં સાહિત્યોને, અનુવાદો થકી આ રીતે સમૃદ્ધિ સાંપડતી હોય છે.

અનુવાદનો ઈતિહાસ અને પ્રકાર

જગતભરની અનુવાદ-પરંપરામાં અનુવાદો અનેક રીતે આવિષ્કાર પામતા રહ્યા છે. વાક્યશઃ અને વફાદાર અનુવાદનો વિભાવ તો અર્વાચીનકાળની એક નીપજ છે પરંતુ મધ્યકાળમાં અને પ્રાચીનકાળમાં તો અનુવાદો રૂપાન્તરો તરીકે જ વિકસતા ગયેલા. કેટલાક વિદ્વાનોએ તો, પ્રાચીન મહાકાવ્યોનાં – જેમકે આપણે ત્યાં મહાભારત વગેરેનાં – અનુ-ગામી પ્રાદેશિક ભાષાઓમાં અનેક રૂપે વિલસતાં ગયેલાં સંસ્કરણોને પણ, અનુવાદ-પરંપરાનો જ એક ભાગ ગણાવેલાં છે. મૂળ પ્રયોજન તો, કોઈ ઉત્તમ કૃતિને ભાષાન્તરના તંતુથી, એ ભાષા ન જાણનાર વાચકોના આસ્વાદ માટે સુલભ કરી આપવી, એ છે. સંસ્કૃત કવિ બાણની, અલંક૨ણખચિત વર્ણનોથી સંકુલ બનેલી ‘કાદંબરી’ને વિદગ્ધ કવિ ભાલણે જ્યારે ગુજરાતીમાં અવતારી ત્યારે એમનો મુખ્ય આશય તો એ જ હતો કે,

‘મુગ્ધ રસિક સાંભલવા ઇછિ, પણિ પ્રીછિ નવિ જાય;
તેહ્ની પ્રીછવા કારણિ કીધો ભાલણિ ભાષાબંધ.’

ભાલણ

એટલે બાણમાં ‘સકલ ઉપમા કહિ નવિ જાઈ’ એવો જે અલંકારવૈભવ હતો, સુદીર્ઘ વર્ણનો હતાં એને ગાળીને કે ટુંકાવીને, અને છતાં મૂળના રસને અને કથાપ્રવાહને જાળવી લઈને ભાલણે એનો સંક્ષિપ્ત ને આસ્વાદ્ય અનુવાદ આપ્યો. તો બીજી બાજુ, પૌરાણિક પાત્રો-પ્રસંગોને કલ્પના-કૌશલથી યથેચ્છ બહેલાવનાર આખ્યાનકાર પ્રેમાનંદ ઉત્તરવયે ‘દશમસ્કંધ’ હાથમાં લે છે ત્યારે ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત્અ; આ પાસા મારું પ્રાકૃત્અ’ એમ કંઈક મૂલાનુસારી અનુવાદ કરવા પ્રવૃત્ત બને છે.

દરેક ભાષાની પરંપરામાં આવા અનેક અનુવાદ-વિવર્તો હોવાના જ. કાવ્યોના સમશ્લોકી અનુવાદો અને ગદ્યાનુવાદોનાં રૂપ જુદાં હોવાનાં; ગદ્યકૃતિઓના મૂલાનુસારીથી લઈને કંઈક સ્વૈર રહેતા અનુવાદો સુધીના અનેક વિવર્તો હોવાના. અનુવાદ-વિચારકોએ ને શાસ્ત્રીઓએ, અનુવાદકોને ઠેકાણે રાખવા માટે, સારા અનુવાદની નવ શરતો’ અને ‘અનુવાદમાં થતી દસ ભૂલો’ – એવીએવી નુક્તેચીનીઓ પણ વારંવાર કરી છે. એવાં નિયંત્રકો અલબત્ત ક્યાંક ઉપયોગી નીવડ્યાં પણ હશે, પરંતુ અનુવાદકો એનાથી પૂરેપૂરા બંધાયા નથી, બંધાઈ શકે એવું બન્યું નથી, કેમ કે કોઈ જ અનુવાદ બિંબ-પ્રતિબિંબ રૂપ તો થઈ શકે જ નહીં. અનુવાદકનો દૃષ્ટિકોણ અને અનુવાદનાં પ્રયોજનો પણ વિવિધ હોવાનાં એટલે અનુવાદ વિવર્તી રહેવાના, એનું સ્વરૂપ-ફલક વિસ્તૃત જ રહેવાનું, અનુવાદનું કોઈ સુ-નિશ્ચિત સ્વરૂપવિધાન શક્ય નથી.

આ થયું ઝડપી ને વ્યાપક રૂપદર્શન. હવે અનુવાદની પ્રક્રિયા તરફ જઈએ, એટલે કે અનુવાદક પાસે જઈને બેસીએ.

અનુવાદક અને અનુવાદ

જેમ સર્જનકાર્ય એક અનુભવ હોય છે એમ અનુવાદકાર્ય પણ એક અનુભવ હોય છે, કેવળ પ્રવૃત્તિ નથી હોતો. મૂળ કૃતિમાં અંદર ઊતરતાં, અનુવાદક એક નોખો અનુભવ કરે છે. એ કૃતિના રસવિશ્વના અનુભવની સાથે જ, એને બે સંસ્કૃતિઓ વચ્ચે, ને ખાસ તો, બે ભાષાઓ વચ્ચે ભીંસાઈને પસાર થવાનું આવે છે. અને એ ભીંસ જ આખરે અનુવાદકને માટે આનંદદાયક પુરવા૨ થાય છે. મૂળ કૃતિ, પહેલાં તો અનુવાદકે એક રસિક અને જિજ્ઞાસુ વાચક તરીકે વાંચી હોય છે. પછી વળી જો અનુવાદક આસ્વાદક-વિવેચક હોય તો એ કૃતિને એણે ઝીણવટથી જોઈ હોય છે, એનું નિકટવાચન (close reading) કર્યું હોય છે, અને એનાં મર્મસ્થાનો પકડ્યાં હોય છે. આમ છતાં જ્યારે કૃતિને એ અનુવાદ માટે હાથ ધરે છે ત્યારે એને એ કૃતિનાં ઘણાં સ્થાનો અપરિચિત લાગવા માંડે છે, ને એનો નવેસ૨ પરિચય કરવા માટે અનુવાદકે મથવું પડે છે, એ રીતે એનો મુકાબલો ક૨વો પડે છે. વળી આ મુકાબલો એણે સ્રોત ભાષા (Source Language) અને લક્ષ્ય ભાષા (Target Language) બંનેનાં રૂપો સાથે પણ કરવાનો હોય છે. મૂળ કૃતિમાં ભાષાએ જે માર્મિકતાથી સંવેદન વ્યક્ત કર્યું હોય એ માર્મિકતા સુધી એણે લક્ષ્ય ભાષાને, પોતાની ભાષાને પણ લઈ જવાની હોય છે. એ સંઘર્ષ જ પછી સંવાદની ભૂમિકા ૨ચે છે.

સ્રોત ભાષા અને લક્ષ્ય ભાષા

અનુવાદકે સ્રોત ભાષાની જાણકારી અને સજ્જતા કેળવવાનાં હોય એ તો બહુ જાણીતી વાત છે. પણ લક્ષ્ય ભાષાની, (મોટેભાગે) અનુવાદકની પોતાની ભાષાની સજ્જતા? કોઈને એમ લાગે કે, અનુવાદકની પોતાની ભાષાની સજ્જતાની વાત તે વળી કરવાની હોય? પરંતુ અનુવાદક જ્યારે અનુવાદ ક૨વાનું શરૂ કરે છે ત્યારે એને પોતાની ભાષાની પણ નવી ઓળખ કરવાની આવે છે. અનુવાદ એ માત્ર સ્રોતભાષાના જ નહીં, લક્ષ્ય ભાષાના એટલે કે યજમાન ભાષાના અભિજ્ઞાનની પણ પ્રક્રિયા છે. યજમાનજી જાણે કે પોતાના જ ઘરમાં કમ્ફર્ટેબલ નથી, બરાબર ગોઠવાઈ શકતા નથી! યોગ્ય શબ્દ માટે, ઉચિત ભાષાભાત માટે, સ૨ખા વાક્યાન્વય માટે મથવું પડે છે; પોતાની ભાષાની પર્યાયબહુલતાને કસોટીએ ચડાવવી પડે છે. ચોકસાઈભરી આ મથામણમાં ક્યારેક, કોઈ એક ક્ષણે તો એને અનુવાદ છોડી દેવાનો વિચાર પણ આવી જાય છે, ‘વેપથુશ્વ શરીરે મે, રોમહર્ષમ્ ચ જાયતે…’ એવી સ્થિતિ થાય છે. પણ જો આવો સંઘર્ષ ન થાય તો સાચો ને સારો અનુવાદ થઈ શકતો નથી. વાચકને જે અનુવાદ સહજ અને પ્રવાહી લાગતો હોય છે, એ અનુવાદ માટે એના અનુવાદકે તો આવી રોમહર્ષક પણ આનંદપર્યવસાયી પીડાઓ વેઠેલી હોય છે. જો કે ક્યારેક અનુવાદક, કોઈ વિલક્ષણ ચોકસાઈના અતિરેકમાં બલકે જિદ્દપૂર્વક, મૂળ ભાષાના શબ્દ સામે શબ્દ, વાક્ય સામે વાક્ય બેસાડવામાં પડી જાય તો એ પેલી સ્રોત ભાષામાં જ એવો ખેંચાઈ જાય છે કે એનાથી પોતાની જ ભાષાની મુદ્રા, એનો ઇડિયમ ભુલાઈ જાય છે – અનુવાદ દુર્વાચ્ય ને કઢંગો થઈ જાય છે.

વફાદારી અને મોકળાશ

એટલે અનુવાદકે વફાદારી અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનું હોય છે. મને લાગે છે કે ‘વફાદારી’ નહીં પણ ‘જવાબદારી’, એમ કહેવું જોઈએ. વફાદારીમાં તો એક જાતની શરણાગતિ છે, પોતાનો ને પોતાની ભાષા-મુદ્રાનો વિલય છે. પરંતુ અનુવાદકે જવાબદાર એટલે કે સંનિષ્ઠ – True to the original તો ૨હેવાનું જ હોય. મૂળ પ્રત્યે સાવ બેપરવા રહીને યાદચ્છિક, મનમાં આવે એવો અનુવાદ ક૨વો કે ક્યાંક-ક્યાંક મૂળને શણગારીને, વિશેષણો આદિના ખોટા વરખ લગાડીને પોતાના લખાણને ભપકાદાર કરવું એ તો દ્રોહ છે, મૂળ કૃતિ સાથેની તેમજ અનુવાદિત કૃતિના વાચક સાથેની છેતરપિંડી છે.

પરંતુ, મૂળ પ્રત્યે આદર રાખીને લીધેલી મોકળાશ અનુવાદક માટે આવશ્યક છે. ખરેખર તો સાહિત્યભાષાની ધ્વન્યાત્મકતા જ એ મોકળાશને અનિવાર્ય બનાવે છે. અનુવાદ એ અર્થમાં સર્જનાત્મક પણ છે, કેમ કે એ, મૂળ કૃતિના તંતુઓમાં પરોવાયેલી છતાં એક આગવી કૃતિ નીપજાવે છે. એવા વિશિષ્ટ અનુવાદ-કૌશલને લીધે, અનુવાદિત કૃતિ વાચકને પોતાની ભાષામાં રચાયેલી કૃતિ-સરખી લાગે છે. એટલે, અનુવાદિત કૃતિની ભાષાનું રૂપવિધાન તો સ્પષ્ટપણે ને પૂર્ણપણે લક્ષ્ય ભાષાનું હોવું જોઈએ.

અને એ માટે અનુવાદક મથતો હોય છે. અનુવાદની આખી પ્રક્રિયા, એક રીતે તો, અનુવાદક માટે એક અંગત કાર્યશાળા જેવી, વર્કશૉપ જેવી છે. અનુવાદનો પહેલો મુસદ્દો મૂળ કૃતિની ધારેધારે ચાલવા કરતો, એને અનુસરતો હોય છે. દોરી ગૂંચવાઈ જાય ત્યારે એને ઉકેલવાને બદલે એટલો ભાગ કાપીને સાંધો કરી લેવાની, એટલે કે ન સમજાયેલા અંશો છોડી દેવાની અપ્રામાણિકતા, તેમજ મૂળથી દૂર લઈ જનારું શૈલીછટાનું ઉમેરણ ક૨વાની લાલચ એને અનુવાદક વશ થતો નથી. પરંતુ, મૂળ પ્રત્યેની એ પ્રાથમિક જવાબદારી નિભાવ્યા પછી, બીજા મુસદ્દાથી અનુવાદક લક્ષ્ય ભાષાની, પોતાની ભાષા પરત્વેની જવાબદારી હાથ ધરે છે. શબ્દચયનનાં, વાક્યાન્વયનાં, વિશિષ્ટ ભાષાભંગીનાં ટાંકણાંથી એ અભિવ્યક્તિને નવો ઘાટ આપે છે, એમાં સર્જનાત્મક ચેતના પૂરે છે. પોતાની એવી સર્વ સજ્જતાને તથા ભાષા-સંવેદનાને ખપે લગાડીને અનુવાદક એક સુવાચ્ય અને પ્રવાહી અનુવાદકૃતિ વાચકના હાથમાં ધરે છે.

તો હવે, વાચક અને અનુવાદ

ભાલણે, ‘કાદંબરી’નો અનુવાદ કરતી વખતે પોતાના સમયના વાચકની એક ઓળખ આપેલી – એ વાચક ‘મુગ્ધ રસિક’ હતો, કથારસ માટે એ ખ્યાત કૃતિ પાસે જવા માગતો હતો પણ એ સંસ્કૃતભાષા જાણતો ન હતો. ભાલણે એનો રસ્તો કાઢી આપેલો – એણે ઉત્તમ પણ રસાળ સારાનુવાદ આપતી પદ્યરચના કરી.

પણ આજનો વાચક કેવળ ‘મુગધ રસિક’ નથી – હોઈ પણ ન શકે. હા, ક્યારેક સારાનુવાદોની કે મૂળ-આધારિત રૂપાન્તરોની ને અનુસર્જનોની પણ જરૂર પડતી હશે. એવો વાચકવર્ગ પણ હોવાનો.

સજ્જ ભાવક

પરંતુ આપણા સમયે જેમ એક સજ્જ અનુવાદકની, એમ અનુવાદના એક સજ્જ વાચકની અપેક્ષા પણ રાખેલી છે. વાચક મૂળ, સ્રોત ભાષા પૂરેપૂરી કે સ૨ખી ન જાણતો હોય, મૂળમાંથી પસા૨ ન થઈ શકતો હોય, પરંતુ પોતાની ભાષાની ઉત્તમ કૃતિઓના આસ્વાદ અને પરિશીલનથી તો એની રુચિ કેળવાયેલી હોય. હા, અનુવાદનો વાચક – જો આપણે એને ભાવક પણ કહીએ તો, એ આવી વાચન-સજ્જતાવાળો હોય એ એની, અનુવાદના વાચક તરીકેની એક વિશેષ યોગ્યતા ગણાશે.

બીજું, અનુવાદો આપણને સંસ્કૃતિ-બોધ કરાવે છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બોધ સાંસ્કૃતિક ચેતનાનો ને સંવેદનાનો બોધ હોય છે, તે તે પ્રજાની સંસ્કૃતિનાં ઘટકોનો બોધ નહીં. એવી વિગત-સજ્જતા કે વ્યાપક જાણકારી વાચકને હોય તથા એવી સ્વીકા૨-તત્પરતા એનામાં કેળવાયેલી હોય એ અનુવાદિત કૃતિના આસ્વાદ માટે જરૂરી છે. ‘તોત્તો-ચાન’નો ગુજરાતી અનુવાદ એક શિક્ષક-વાચકે એક-બે પાનાં વાંચીને જ છોડી દીધેલો. એમનું કહેવું હતું કે, એમાં પાત્રોનાં, ગામોનાં, સ્થળોનાં નામો એવાં અપરિચિત ને અટપટાં છે કે એમનાથી આગળ ન વધી શકાયું. ‘લ્યુસી’નું ‘લક્ષ્મી’ કરી આપો તો જ વાંચે એવા ન૨મ અને નિર્દોષ જ વાચકો આજે અનુવાદના યોગ્ય વાચકો ન ગણાય.

અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ.

નબળા અનુવાદ

પરંતુ આવા યોગ્ય વાચકોના પણ, અનુવાદો વાંચ્યાના અનુભવો, ક્યારેક કેવા તો કમનસીબ અને પીડાદાયક હોય છે!

જે અનુવાદો મૂળ કૃતિની ભાષાની સમજના અભાવે, કે લક્ષ્ય ભાષાની સરખી માવજતના અભાવે, કે પછી એ બંનેના અભાવે નબળા થયેલા હોય, એ અનુવાદો સજ્જ સાહિત્યરસિક વાચકને પણ નડે છે. અનુચિત શબ્દચયનો ને ખોડંગાતાં વાક્યોથી ઊભી થતી ક્લિષ્ટતા વાચકને ત્રાસ આપે છે. મૂળ કૃતિ ઉત્તમ ને રસપ્રદ હોય, પણ એનો અનુવાદ તો અસહ્ય થઈ પડે છે. પોતાની ભાષાની કોઈ સંકુલ કૃતિને પણ આસ્વાદી શકવાની સજ્જતાવાળા વાચક માટે પણ, અભિવ્યક્તિની સહજતા અને પ્રવાહિતાના અભાવવાળી અનુવાદિત કૃતિ દુર્બોધ અને ક્લેશકર બની જાય છે.

કેટલાક પ્રવાહી જણાતા અનુવાદોમાં પણ ચકોર વાચક, અનુવાદકે પ્રમાદવશ કરેલી, કે એની સમજને અભાવે રહી ગયેલી ક્ષતિઓને પામી જાય છે. મૂળ સાથે એ તુલના ન કરે તો પણ આખા વાક્યમાં કે સંદર્ભમાં આવી પડેલા અનુચિત કે ખોટા શબ્દચયનનો એને ખ્યાલ આવી જાય છે. સ્રોત ભાષા જાણતો હોવા છતાં, રસપૂર્વક ને આગ્રહપૂર્વક પોતાની ભાષામાં થયેલા અનુવાદને જ વાંચવાનું પસંદ કરનાર આવા સજ્જ વાચકનેય જો વળીવળીને મૂળ શું હશે એનાં અનુમાનો કરવાનું મન થાય ને અમુક તબક્કે તો અનુવાદ છોડીને મૂળ કૃતિ વાંચવા ને એ મજબૂર થાય તો અનુવાદની એ સૌથી મોટી નિષ્ફળતા છે.

વળી, આવા નબળા અનુવાદો સાથે પનારો પડે ત્યારે, જે મૂળ ભાષા જાણતા નથી એવા વાચકો સૌથી વધારે કમનસીબ હોય છે. એવા જિજ્ઞાસુ વાચકોને અપેક્ષાભંગ થાય છે ને સાહિત્યકૃતિ વાંચવામાંથી એમનો ૨સ ઊડી જાય છે.

એવા નબળા અનુવાદોથી અનુવાદ-પ્રવૃત્તિનું મહત્ત્વ અને મૂલ્ય ઘટે છે અને અનુવાદ પ્રવૃત્તિ દ્વૈતીયીક છે એવાં ખોટાં ધોરણો આગળ ધસી આવે છે.

ગુજરાતી સાહિત્ય પરિષદને ટકોર

અનુવાદો તો આપણે ત્યાં ઘણા થાય છે. ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓ પણ નિરંતર અનુવાદો કરાવે છે પણ યોગ્ય અનુવાદકની પસંદગીનો પ્રમાદ, પરામર્શકોની ઉદાસીનતા, અનુવાદોની અનુવાદો તરીકે થતી આકરી સમીક્ષાઓનો અભાવ તેમજ અનુવાદ માટેના સઘન અને સાતત્યવાળા વર્કશૉપ્સની નરી અછત, એ બધાં અનુવાદની ગુણવત્તાનું રક્ષણ ને નિયંત્રણ ન થઈ શકવાનાં કમનસીબ પરિબળો છે.

એટલે, સાહિત્ય પરિષદે આ અધિવેશનમાં અનુવાદ અંગે બેઠક રાખી છે એ માટે અભિનંદન આપવાની સાથે જ એક વાત મારે ભારપૂર્વક કહેવી છે કે, પરિષદમાં વર્ષો પહેલાં જે ‘અનુવાદકેન્દ્ર’ સ્થપાયું હતું એ આરંભકાળે થોડોક સંચાર બતાવ્યા પછી લાંબા સમયથી સુપ્ત છે. એ સુષુપ્તિનાં વર્ષો વધતાં જ જાય એને બદલે એ કેન્દ્રને હવે ચાલતું બલકે સક્રિય ક૨વામાં આવે તો સારું. અનુવાદ વિશે પરિસંવાદો થાય, ખાસ તો સઘન કાર્યશાળાઓ યોજાતી થાય ને એને પરિણામે થોડાંક ઉત્તમ અનુવાદ-પુસ્તકો પણ પ્રકાશિત થાય એવી મારા વતી, ને આ સામે બેઠેલા સૌ સાહિત્યકારો ને સાહિત્યરસિકો વતીથી પણ પરિષદના પ્રમુખશ્રીને અને તંત્રવાહકોને આગ્રહભરી વિનંતી કરું છું. પરિષદના આવતા સત્રમાં કોઈને આ વિનંતી દોહરાવવી ન પડે એવી આશા સાથે, તથા અનુવાદની આ બેઠકમાં બે વાતો ક૨વાનો અવસ૨ આપ્યો એ માટે પરિષદનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું.

1 ‘Translation is not the transfer of detachable ‘meaning’ from one language to another… Translation is a dialogue between two languages. It occurs in a space between two languages.’ From the Introduction to the translation of War And Peace by rechard Pevear and Larrissa Volokhonsky, 2007.

2 Edith Grossman (1936): Why Translation Matters, 2010. Ch. 1: ‘Authors, transla toors and readers.’

2 thoughts on “અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)