જ્યારે મારાં ગમતાં પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ જાઉં છુ. એકાદ હજાર પુસ્તકો તો ગમે જ છે. એ બધાની યાદી કેવી રીતે બનાવવી? જોકે તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ થતી નથી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા એ યાદીમાં પ્રથમ ક્રમે જ આવે છે.

પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું, “અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.” ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી સતત આકર્ષાયેલો રહ્યો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.
અશ્વિની ભટ્ટની નવલકથાઓ
તેમની નવલકથાઓની યાદી જોઈએ તો બહુ લાંબી નથી, પણ તેમાંની ઘણી નવલકથાઓ બહુ લાંબી છે. ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’, ‘આશકા માંડલ’, ‘ફાંસલો’, ‘અંગાર’, ‘ઓથાર’, ‘આખેટ’, ‘કટિબંધ’, ‘આયનો’, ‘ધ ગેઈમ ઈઝ અપ’, ‘કસબ’, ‘કરામત’ અને ‘કમઠાણ’ તેમની નવલકથાઓ છે. આ ઉપરાંત ‘ફ્રીડમ એટ મીડનાઈટ’નો ગુજરાતી અનુવાદ, એલિસ્ટર મેકલિનના ઘણા અનુવાદો, ‘રમણ-ભમણ’ નામક નાટક અને ગોધરાકાંડ પછીના ગુજરાતની એક ‘તળ-અમદાવાદી’ના દ્રષ્ટિકોણથી માહિતી આપતું પુસ્તક ‘આકાંક્ષા અને આક્રોશ’ પણ તેમના ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં છે. અને તેમણે કુલ ૮૦થી પણ વધુ પુસ્તકો નો અનુવાદ કર્યો છે જે હાલમાં સંગ્રાહકો પાસે જ હશે. નવલકથાઓનું લંબાણ જ નહીં, વિસ્તાર પણ ઘણો છે અને આટલાં દળદાર પુસ્તકો હોવા છતાં વાચકો ક્યારેય થાકતા નથી, એ તેમની ઉપલબ્ધિ છે.
‘ઓથાર’ પહેલી વાર મે ૧૯૯૭માં વાંચી હતી અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૨૫ વાર તો વાંચી જ હશે. તે મને ગમવાના ઘણાં કારણો હશે પણ અશ્વિનીજીને ગમાડવા માટે તો આ એક જ પુસ્તક પૂરતું છે.
ઓથાર

આઝાદીના 6 દસક બાદ આપણે ભારતને પ્રગતિના પંથે અગ્રેસર જોઈને રાજીપો અનુભવીએ છીએ અને સાથે-સાથે મનમાં એક વસવસો પણ ઊભરી આવે છે કે જો ઈ.સ. 1857નો બળવો સફળ રહ્યો હોત, તો અત્યારે ભારત ક્યાં પહોચ્યું હોત! આ વસવસાને અશ્વિનીજીએ ‘ઓથાર’ના પાત્રોમાં જીવંત કર્યો છે અને પ્રસ્તાવનામાં ડો. કાન્તિ રામીએ લખ્યું છે, “લોકો પોતાની યાતનાઓને જેટલી ઉત્કટતાથી યાદ રાખે છે, એથી વિશેષ એમને બીજું કશુંયે યાદ રહેતું નથી.” આપણામાં પણ ક્યાંક ને ક્યાંક એ વસવસો અને એ યાતનાઓના ઘાવ છુપાયેલાં જ છે. માટે જ જ્યારે તેને કોઇ પાત્રમાં સજીવન થતાં અનુભવી, ત્યારે અચાનક જ કથાનો નાયક સેજલસિંહ મને મારા મિત્ર જેવો લાગવા માંડ્યો. જોકે, આ ઇતિહાસના વર્ણનથી ભરપૂર પણ બગાસા ખવડાવતી નવલકથા નથી. ઇતિહાસ તો અહીં એક પશ્ચાદભૂમિકામાં જ છે અને વાર્તા તેના દ્વારા આગળ ધપતી નથી. ક્યાંક અને કવચિત ઇતિહાસનો ઉલ્લેખ થાય છે પણ એવી રીતે નહીં કે તે કથાના પ્રવાહને અવરોધે.
બળવાની નિષ્ફળતાનો ઓથાર, નાયક સેજલસિંહનો તેના પિતા વિષેના અજ્ઞાનનો ઓથાર તથા સેના અને ગ્રેઈસ વચ્ચેની વિકટ પસંદગીનો ઓથાર- એમ નવલકથામાં ઓથાર ત્રિસ્તરીય પરિમાણ ધરે છે અને શિર્ષકને સાર્થક કરે છે. આટલા વિશાળ ફ્લક પર આલેખાયેલી નવલકથામાં ‘મેટર’ અને ‘મેનર’ એમ બંને જગ્યાએ અશ્વિનીજીએ અચૂક નિશાન સાધ્યાં છે. આ ઉપરાંત ખાધું-પીધું ને રાજ કર્યું વાળો નહીં પણ એક વાસ્તવિક અંત આપવામાં પણ તેમણે કમાલ કરી છે. નવલકથાના છેલ્લાં પચાસેક પાનાં અતિ વેદનામય છે તેમ છતાં કથામાં ક્યાંય નાનકડું છિદ્ર પણ ન રહી જાય તેના માટે અશ્વિનીજીએ તેનો બખૂબી ઉપયોગ કર્યો છે.
ઓથારના પાત્રો

વાર્તા હંમેશા પાત્રો દ્વારા આગળ વધે છે અને નબળું પાત્રાલેખન કોઇ પણ રીતે આ ધસમસતા કથા પ્રવાહને ઝીલી શક્યું ન હોત. પણ વાર્તારસની ભાગીરથીને માટે તેમણે પાત્રો પણ ઉત્કૃષ્ટ સર્જ્યાં છે. આપણને તે લેખકની કલ્પનાના બોદાં હાડપિંજર લાગતા નથી પણ આપણે તેમને બંધ આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને તેમને કથાના એક પાત્રની જેમ જ ચાહી કે ધિક્કારી શકીએ છીએ. કથાનાયક તો નિઃશંક સેજલસિહ જ છે પણ કથામાં આવતી ત્રણ મુખ્ય સ્ત્રીઓના પાત્રાલેખનમાં પણ લેખક શ્રી એ એવો કસબ દાખવ્યો છે કે વાચકને એ નિર્ણય કરવામાં મુશ્કેલી થઇ પડે કે ખરેખર નાયિકા કોણ છે? રાજેશ્વરીદેવીની કુશળતા અને ધ્યેયનિષ્ઠા, સેના બારનીશની મોહકતા અને અલ્લડપણું તથા ગ્રેઇસ કેમ્પબેલનું આત્મસમર્પણ અને પ્રેમાતુરતા બહુ જ ઉત્કૃષ્ટ રીતે નિરૂપાયાં છે. તેમાંય રાજેશ્વરીદેવી જેવું જાજરમાન નારીપાત્ર ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ સર્જાયું છે. પાત્રાલેખનની ખૂબી એ છે કે સેજલસિહ, સેના બારનીશ, રાજેશ્વરીદેવી, ગ્રેઇસ કેમ્પબેલ, બાલીરામજી, ભુવનસિંહ, સંતોજી બારનીશ, આજો, ખેરા, ભવાનીસિંહ, કર્નલ મેલેટ, જીના પોવેલ, જેક મેકગ્રેગર કે સર પોવેલ જેવા મહત્વના પાત્રો જેટલા બારીકાઇથી આલેખાયાં છે તેટલા જ ખંતપૂર્વક કથામાં આવતા ધાનોજી, સૂબેદાર ખંડેરાવ, જેડો રાઉટીયો, જેલર જો ગિબ્સન, રામસતીયો, રામચરણ અને રામશરણ જેવા દ્વિતીય કક્ષાના પાત્રો પણ આલેખાયાં છે. કથાકાળની શરૂઆત પહેલા મૃત્યું પામનાર સેજલસિહના પિતા વિક્રમસિહ, આયા કન્ની, ફાંસીએ ચડાવેલ રાણોજી અને તુરક ને તોકલ નામના ઘોડા પણ આપણી સામે જીવંત થઈ જાય છે, તે કંઈ નાનીસૂની વાત નથી!
ઓથારમાં પ્રસંગો અને સ્થળોનું વર્ણન
પાત્રાલેખનની સાથે-સાથે પ્રસંગોનું આલેખન પણ બખૂબી અને ઝીણવટથી કરવામાં આવ્યું છે. સેજલસિહે મશાલના અજવાળે સેના બારનીશનું કરેલું પ્રથમ દર્શન, પીંઢારી મીરખાનનો અંગેજ ટુકડી પરનો હલ્લો, જેલમાં જો ગિબ્સન સાથેની લડાઇ, સેજલસિંહની ઇન્કવાયરી અને જેકે મેકગ્રેગરે સર્જેલું ફારસ, રાજા ગોવિંદદાસની કોઠી પર કર્નલ મેલેટે કરેલો હુમલો, ખેરાસિંહનુ જાનોર પર આક્રમણ અને આગમાંથી બચવાના સેજલસિહના પ્રયત્નો ખૂબ નજાકતથી અને કુશળતાપૂર્વક આલેખન પામ્યાં છે.
પાત્રો અને પ્રસંગો ઉપરાંત એ સમયનો સમાજ, વિવિધ સ્થળો અને ઈમારતો પણ નજર સામે તાદ્રશ્ય કરવામાં લેખકે પોતાના પ્રાણ રેડ્યા છે. આ નવલકથા વાંચ્યા પછી કોઇ કહી શકે નહિ કે જાનોર એક કલ્પિત રજવાડું હશે. ગોલકી મઠ અને ભેડાઘાટનું પણ સવિસ્તર અને રોચક વર્ણન છે. જાનોરનો રાજ મહેલ કે કેન્ટનું તો કોઇ સ્થપતિની કુશળતાથી આલેખન કરવામાં આવ્યું છે.
લેખકે પ્રસંગની જરૂરિયાત મુજબ ક્યારેક તદ્દન અંગ્રેજી તો ક્યારેક સાવ તળપદા શબ્દો વાપર્યા છે પણ દરેક વખતે સંવાદ ચોટદાર, પ્રસંગ માણવાલાયક અને સ્થળને જાણવાલાયક બનાવ્યાં છે. મારા અમુક મિત્રો આ નવલકથા વાંચ્યા પછી ભેડાઘાટની મુલાકાત લેવા પ્રેરાયાં હતાં.
અંતે…
છેલ્લે ડો. કાન્તિ રામીના શબ્દોને આપની સમક્ષ મૂક્યા વિના નથી રહી શકતો કારણ કે હું પણ એ વાત સાથે મક્કમતાથી સહમત છું – “રાષ્ટ્રભાષા હિન્દી કે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં જો આ કથા આલેખાઇ હોત તો કથાને જંગી આવકાર અને લેખકને દિગંતવ્યાપી યશ મળ્યા હોત તે નિઃશંક છે.”
વિકિપીડિયા પર હમણાં જ ઓથાર અંગેનો લેખ બન્યો છે: https://gu.wikipedia.org/wiki/ઓથાર
LikeLiked by 1 person
આભાર કાર્તિકભાઈ. નવા લેખોની સાથે-સાથે મારા જૂના લેખા પણ અહીં મૂકતો રહેવાનો છું. તમારી બહુમૂલ્ય કોમેન્ટ્સ આપતા રહેજો.
LikeLike
well explained sir!
LikeLiked by 1 person
આભાર મિત્ર.
LikeLiked by 1 person
પાત્રોનો ઉલ્લેખ વાંચતી વખતે ફરી પાત્રમય બની જતો હોઉં તેવું લાગ્યું..ખરેખર અદભુત
LikeLiked by 1 person
આભાર મિત્ર.
LikeLike
Thanks for sharing
LikeLiked by 1 person
The pleasure is all mine!
LikeLike
ઓથાર નવલકથા વિશે ખૂબ સુંદર પરિચયાત્મક લખાણ ગમે તેવું છે.
LikeLiked by 1 person
ન વાંચી હોય તો અવશ્ય વાંચજો.
LikeLike
Excellent statement of account of Late Shree Ashwini Bhatt’s creativity…There are no words to explain about his work with wisdom…We are none to give our comments…Only pleasure is in reading his novels and feel fascinated by diving in another world…
Just a note: We were honored to meet him personally through one of our relatives but avoided to meet face to face and instead we took chance to see him from distance…
Our two daughters were named after his novels – Shailja from Shailja Sagar and Aashka from Aashka Mandal…
Hope to see your more creative thoughts about Late Shree Ashwini Bhatt…
LikeLiked by 1 person
તો પણ હું તમને સદ્ભાગી માનું છું. હું તો એમને જોઈ પણ નથી શક્યો. માત્ર તેમના શબ્દદેહને જ પામ્યો છું અને એ વાતનો પણ મને આનંદ છે.
LikeLike
કોઈ નવલકથા માટે હું આટલો ગાંડોતુર બન્યો હોવ એવું ક્યારેય નહીં બન્યું. રાતના 3 વાગ્યા સુધી વાંચવું…ઓથાર નવલકથા એકવાર વાંચવાનું શરૂ કરીએ પછી જ્યાં સુધી એ પુરી ના થાય ત્યાં સુધી જીવ ત્યાં જ ચોંટેલો રહે.. અદભૂત અશ્વિની દાદા… એમના પાત્રો એમનું વર્ણન.. બધું જ લાજવાબ
LikeLiked by 1 person
મારે પણ એમ જ બને છે!
LikeLike