‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન

sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.

“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.

પુસ્તકમાં સમાવિષ્ટ વક્તવ્યો અને અનુવાદકોની વિગતો

નોબેલ
પારિતોષિકનું
વર્ષ
પારિતોષિક વિજેતાભાષા /
દેશ
વક્તવ્યઅનુવાદક
1991નેડીન ગોર્ડીમર
Nadine Gordimer
અંગ્રેજી
દક્ષિણ આફ્રિકા
લેખન અને હોવાપણુંઅશોક વિદ્વાંસ
1992ડેરેક વોલકોટ
Derek Walcott
અંગ્રેજી
સેન્ટ લૂસિયા
ધ એન્ટિલીસઃ મહાન સ્મૃતિના ખંડિત અંશોનીતા શૈલેષ
1993ટોની મોરિસન
Toni Morrison
અંગ્રેજી
યુ.એસ.એ.
પારિતોષિક વિજેતાનું વક્તવ્યઆશા બૂચ
1994કેન્ઝાબૂરો ઓએ
Kenzaburo Oe
જાપાનીઝ
જાપાન
જાપાન, તેની સંદિગ્ધતા અને હુંરાજેન્દ્રસિંહ જાડેજા
1995શેયમસ હિની
Seamus Heaney
અંગ્રેજી
આયર્લેન્ડ
કવિતાને શ્રેયઅહમદ ‘ગુલ’
1996વિસ્લાવા સિમ્બોર્સકા
Wislawa Szymborska
પોલિશ
પોલેન્ડ
કવિ અને વિશ્વપંચમ શુક્લ
1997દારિયો ફો
Dario Fo
ઈટાલિયન
ઈટાલી
વિદૂષકો, કે જે ઠઠ્ઠા મશ્કરી અને અપમાન કરે છે, તેના વિરોધમાંડૉ. રજની પી. શાહ
1998જોસે સરમાવો
José Saramago
પોર્ટુગીઝ
પોર્ટુગલ
પાત્રો કઈ રીતે બન્યાં શિક્ષક અને લેખક તેમનો વિદ્યાર્થીચિરંતના ભટ્ટ
1999ગુન્ટર ગ્રાસ
Günter Grass
જર્મન
જર્મની
વધુ , હવે પછી
(To Be Continued)
હરીશ મીનાશ્રુ
2000ગાઓ શિન્ગજિયાન
Gao Zingjian
ચીની
ચીન, ફ્રાન્સ
વાત સાહિત્યનીદીપક ધોળકિયા
2001વી. એસ. નાયપોલ
V. S. Naipaul
અંગ્રેજી
યુ.કે.
બે વિશ્વઅવનીશ ભટ્ટ
2002ઈમરે કરતેઝ
Imre Kertész
હંગેરિયન
હંગેરી
યુરેકા!ભદ્રા વડગામા
2003જ્હોન મેક્સવેલ કોત્ઝી
John Maxwell Coetzee
અંગ્રેજી
દક્ષિણ આફ્રિકા
તે અને તેનો માણસઅદમ ટંકારવી
2004એલફ્રિડ યેલિનેક
Elfriede Jelinek
જર્મન
ઓસ્ટ્રિયા
બાજુ પરઅદમ ટંકારવી
2005હેરોલ્ડ પિન્ટર
Harold Pinter
અંગ્રેજી
યુ.કે.
પારિતોષિક વિજેતાનું વક્તવ્યઅદમ ટંકારવી
2006ઓરહાન પામુકતુર્કી
તુર્કી
મારા પિતાની સુટકેસપ્રતિષ્ઠા પંડ્યા
2007ડોરિસ લેસિંગ
Doris Lessing
અંગ્રેજી
યુ.કે.
નોબેલ પારિતોષિક ન મળતાઆરાધના ભટ્ટ
2008જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો
Jean-Marie Gustave Le Clézio
ફ્રેન્ચ
ફ્રાન્સ, મોરેશિયસ
વિરોધાભાસના વનમાંનંદિતા મુનિ
2009હેરતા મ્યુલર
Herta Müller
જર્મન
જર્મની
પ્રત્યેક શબ્દ પોતાની અર્થછાયાના વિષચક્રથી અવગત હોય છેરંજના હરીશ
2010મારિયો વરગાસ લોસા
Mario Vargas Llosa
સ્પેનિશ
પેરુ
બિરદ ભોંય વાંચન અને સર્જનાત્મક સાહિત્યનીબકુલા ઘાસવાલા-દેસાઈ
2011ટોમસ ટ્રાન્સ્ટ્રોમર
Tomas Tranströmer
સ્વિડિશ
સ્વિડન
ટોમસ ટ્રાન્સ્ટ્રોમર વતી એમનાં પત્ની મોનિકા ટ્રાન્સ્ટ્રોમરનું વક્તવ્યઈમ્તિયાઝ પટેલ
2012એ મો યાન
Mo Yan (Pen-Name of Guan Moye)
ચીની
ચીન
વાર્તાકારોનીતા શૈલેષ
2013એલિસ મુનરો
Alice Munro
અંગ્રેજી
કેનેડા
એલિસ મુનરોઃ એમના પોતાના શબ્દોમાંનીતા શૈલેષ
2014પેટ્રિક મોદિયાનો
Patrick Modiano
ફ્રેન્ચ
ફ્રાન્સ
પારિતોષિક વિજેતાનું વક્તવ્યપીયૂષ જોશી
2015સ્વેતલાના એલેક્સિયેવીચ
Svetlana Alexievich
રશિયન
બેલારુસ
હારેલી લડાઈ વિશેભદ્રા વડગામા
2016બોબ ડિલન
Bob Dylan
અંગ્રેજી
યુ.એસ.એ.
પારિતોષિક વિજેતાનું વક્તવ્યચિરાગ ઠક્કર ‘જય’
‘સાહિત્યત્વ’ પુસ્તકમાં સમાવિષ્ટ વક્તવ્યો અને અનુવાદકોની વિગતો

પરિસંવાદનો આરંભ

'સાહિત્યત્વ' સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદની આમંત્રણ પત્રિકા Invitation Card of the occassion Chirag Thakkar Jay
‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદની આમંત્રણ પત્રિકા

આ સભાના સંચાલક કેતન રુપેરાએ પ્રારંભે જ સમાચાર આપ્યા કે પુસ્તકના કુલ 21 અનુવાદકો પૈકીના એક અને ફ્રેન્ચ સાહિત્યકાર પેટ્રિક મોદિયાનોના વક્તવ્યનો અનુવાદ કરનારા પીયૂષ જોશીએ આગલી સાંજે જ (23 ઓગસ્ટ, 2022) અનંત યાત્રાએ પ્રયાણ કર્યું હતું. અનુવાદકનું મૃત્યું એટલે એક પુલ તૂટી પડ્યાની ઘટના કહેવાય પરંતુ સખેદ નોંધવું રહ્યું કે ગુજરાતભરમાં એ ઘટનાની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઈ હતી!

વિપુલ કલ્યાણીનું સ્વાગત પ્રવચન

સૌ પ્રથમ, ગુસાઅ(યુકે)ના પ્રમુખ વિપુલ કલ્યાણીનું pre-recorded video સ્વરૂપે સ્વાગત પ્રવચન રજૂ થયું. With all due respect નોંધવું રહ્યું કે એ પ્રવચનનો ઓડિયો ગુજરાત વિદ્યાપીઠના દાયકાઓ જૂના સ્પીકર પરથી રજૂ થયો હોવાથી મોટાભાગનું પ્રવચન સ્પષ્ટ સંભળાયું નહોતું. આથી એ અંગે પ્રતિભાવ આપવો અયોગ્ય ગણાશે. જોકે વિપુલભાઈને સ્ક્રીન પર જોઈને આનંદ અવશ્ય થયો હતો. વિપુલ કલ્યાણીના તંત્રીપદ હેઠળ યુકેથી પ્રગટ થતાં સામાયિક ‘ઓપિનિયન’ના 25 વર્ષ પૂર્ણ થતાં એપ્રિલ 2021 દરમિયાન ‘રજત રાણ પડાવે ઓપિનિયન’ નામે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ડમ્બલડોર સ્વરૂપે જોયેલા વિપુલભાઈને તેમના પૂર્વવત્ સ્વરૂપે જોવા ગમ્યા.

અદમ ટંકારવીએ બાંધી આપેલી ભૂમિકા

એ પછી, ડાયસ્પોરાના ગુજરાતી સાહિત્યમાં ડાયસ્પોરા સમાજનું ઉર્ધ્વમૂલતાનું સંવેદન અને એ જીવનની મથામણોને સર્વોત્તમ રીતે વાચા આપનારા કવિઓમાંના એક એવા અદમ ટંકારવીનું pre-recorded video સ્વરૂપનું પ્રવચન રજૂ થયું જેમાં તેમણે ‘સાહિત્યત્વ’ પુસ્તક અને એ પરિસંવાદની ભૂમિકા બાંધી આપી. તેમણે એઝરા પાઉન્ડનું “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” વાક્ય ટાંક્યું હતું (જે ‘સાહિત્યત્વ’ પુસ્તકના પ્રકાશકીયમાં પણ લેવાયું છે). તેના દ્વારા તેમણે આ છવ્વીસ અનુવાદોનું પુસ્તક કેમ પ્રગટ કરવામાં આવ્યું તેની ભૂમિકા બાંધી આપી હતી.

રાજેન્દ્ર ખીમાણીનું પ્રાસંગિક પ્રવચન

ત્યાર બાદ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીએ યજમાનપદેથી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ‘સાહિત્યત્વ’ પુસ્તક હજુ તેઓ વાંચી નથી શક્યા એવા ખુલાસા સાથે તેમણે સાહિત્ય અને પુસ્તકોની વાત કરી હતી અને હાજર વિદ્યાર્થીગણને આવા પુસ્તકો વાંચતા રહેવાનો આગ્રહ કર્યો હતો. દર શનિવારે સવારે 8 થી 11 વિદ્યાપીઠ ખાતે યોજાતી વારસાયાત્રા અંગે વાત કરીને તેમણે બધાને એ યાત્રામાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મંચ પર (ડાબેથી) કેતન રુપેરા, રાજેન્દ્ર ખીમાણી, હરીશ મીનાશ્રુ, મણિલાલ હ. પટેલ, અશોક કનેરિયા અને પંચમ શુક્લ
sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay
મંચ પર (ડાબેથી) કેતન રુપેરા, રાજેન્દ્ર ખીમાણી, હરીશ મીનાશ્રુ, મણિલાલ હ. પટેલ, અશોક કનેરિયા અને પંચમ શુક્લ

મણિલાલ હ. પટેલ દ્વારા ‘સાહિત્યત્વ’ પુસ્તકનું વિહંગાવલોકન

પરિસંવાદની માંડણી થયા બાદ મણિલાલ હ. પટેલે ‘સાહિત્યત્વ’ પુસ્તકનું વિહંગાવલોકન કરાવ્યું હતું. ઊભા ઊભા જ વક્તવ્ય આપવાનું પસંદ કરતા મણિલાલે એ દિવસે પગની સમસ્યાને કારણે બેસીને પ્રવચન આપવાનું સ્વીકાર્યું હતું જે એકંદરે સારું જ થયું હતું. તેમણે પુસ્તકની એવી માંડીને વાત કરી હતી કે જો ઊભા ઊભા વક્તવ્ય આપ્યું હોત, તો પગની સમસ્યા વિના પણ પગ દુઃખી ગયા હોત. આ લાંબુ વક્તવ્ય જોકે અત્યંત રસપ્રદ અને પ્રસંગને અનુરૂપ હતું માટે એ લંબાણથી રસપાનમાં ખલેલ પહોંચી નહોતી. પોતાની જાતને ગુજરાતી સાહિત્યથી તૃપ્ત ગણાવી મણિલાલ હ. પટેલે ‘સાહિત્યત્વ’ પુસ્તકના સંદર્ભે વિશ્વસાહિત્ય કરતાં ગુજરાતી સાહિત્યની સવિશેષ વાત કરી હતી.

અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ અંગે હરીશ મીનાશ્રુ

ત્યાર પછી અનુવાદ વિશે હરીશ મીનાશ્રુએ પણ એટલું જ સુદીર્ઘ વક્તવ્ય આપ્યું હતું. પોતાના કવિત્વ અને અનુવાદના અનુભવો અંગે તેમણે કેટલાય રસપ્રદ કિસ્સા ટાંકીને આ વક્તવ્યને મારા જેવા અનુવાદક માટે બહુમૂલ્ય બનાવી દીધું હતું. અંગત રીતે મેં એ વક્તવ્યના શબ્દે શબ્દને માણ્યો અને હું તેમાંથી ઘણું પામ્યો પણ ખરો. વિશ્વસાહિત્ય એટલે જ અનુવાદિત સાહિત્ય કારણ કે વિશ્વભરની ભાષામાં સર્જાતા સાહિત્યને પામવા માટે અનુવાદ વિના કોઈ માર્ગ જ નથી એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

અનુવાદકોના અવમૂલ્યન અંગે

‘સાહિત્યત્વ’ પુસ્તકમાં અનુવાદકોના નામ અનુક્રમણિકામાં નથી છપાયાં પરંતુ એક અલગ પાના પર લેવાયા છે અને જે તે લેખમાં પણ પ્રારંભે નહીં પરંતુ લેખના અંતે મૂકાયા છે એ વાતની સખેદ નોંધ લેતા અનુવાદકોના સંદર્ભે હરીશ મીનાશ્રુએ કહ્યું હતું કે અનુવાદકનું નામ પુસ્તકના ટાઈટલ પર છાપવાને બદલે ઉઘડતા પાને છાપવામાં આવે છે એ બાબત પહેલા તો તેમણે નોંધી જ નહોતી પરંતુ કોઈએ ધ્યાન દોરતાં તેમણે એ વાત નોંધવી શરૂ કરી હતી. અનુવાદકોને સર્જકથી ઓછું સન્માન મળવાની ઘટનાને પણ તેમણે અયોગ્ય ગણાવી હતી. એક દાયકાથી ફુલ ટાઈમ અનુવાદ ક્ષેત્રમાં રમમાણ રહેનારા મારા જેવા અનુવાદકને એ વાત ન સ્પર્શે તો જ નવાઈ. હરીશભાઈ, ચિંતા ન કરશો. અમને તો આદત પડી ગઈ છે હવે! પતંગિયું બગીચાની ફરિયાદ કેવી રીતે કરી શકે? હું તો પુસ્તકો વચ્ચે રહીને ઘર ચલાવી શકું છું અને સાહિત્યને માણતાં માણતાં કામ કરી શકું છું એને જ ઉપલબ્ધિ માનું છું. અને અનુવાદકોને આમ પણ વધારે ચિંતા ટાઈટલ પર નહીં બેંક અકાઉન્ટમાં ક્રેડિટ મળવાની હોય છે! ઉપરાંત, ગુસાઅ(યુકે)એ તો તમામ અનુવાદકોને બંને પ્રકારની ક્રેડિટ સારી રીતે આપી છે એ વાતનો સ્વીકાર કરવો રહ્યો.

gathering at sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay
‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદમાં ઉપસ્થિત શ્રોતાઓ

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

હરીશ મીનાશ્રુએ આ ઉપરાંત વિશ્વસાહિત્ય સંદર્ભે બીજો પણ એક મહત્વનો મુદ્દો ઉપાડ્યો હતો કે ગુજરાતી ભાષામાં તો વિશ્વભરના પુસ્તકોના અનુવાદો પ્રગટ થયા છે અને થતા રહે છે. પણ એ પ્રોસેસ મોટાભાગે વન-વે બની રહે છે. ગુજરાતીમાંથી વિશ્વભાષાઓમાં, અને ખાસ કરીને અંગ્રેજીમાં, અનુવાદ બહુ જ ઓછા થાય છે, એ વાત પણ તેમણે કહી હતી. ‘પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો‘ ની ચર્ચા મેં આ પહેલા પણ ઘણીવાર કરી છે એટલે અહીં તેનું પુનરાવર્તન નથી કરતો પરંતુ મૂળે અર્થકારણ જ તેમાં સૌથી મોટો અવરોધ બની રહે છે તે નક્કી, એટલું અવશ્ય કહીશ.

ગદ્યાનુવાદ અને પદ્યાનુવાદ

હરીશ મીનાશ્રુએ અનુવાદની કલાની વાત એકદમ માંડીને કરી પણ એ વાત હતી કવિતાના અનુવાદની. ગદ્ય અને પદ્ય અનુવાદની વિધા ઘણી રીતે અલગ છે. ગદ્યમાં અનુવાદ દ્વારા મૂળ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ અને વધુ શક્ય હોય છે. પદ્યમાં તો અનુવાદ મોટાભાગે નવસર્જન જેવી જ પ્રક્રિયા બની રહે છે અને જો સ્રોતભાષા અને લક્ષ્યભાષાના કુળ અલગ અલગ હોય તો મહ્દઅંશે અનુવાદ મૂળથી ઘણો અલગ હોય છે. આમ તો અનુવાદ એ અનુવાદ જ છે એટલે ક્યાંકને ક્યાંક તો બધું એકબીજાને સ્પર્શતું જ હતું પરંતુ આખી વાત ગદ્યના અને ‘સાહિત્યત્વ’ પુસ્તકના સંદર્ભમાં મૂકાઈ હોત, તો વધારે પ્રસ્તુત બની રહેત.

ચંદ્રકાન્ત ટોપીવાળાનું અધ્યક્ષીય ઉદબોધન

આ પરિસંવાદના અધ્યક્ષ હતા ચંદ્રકાન્ત ટોપીવાળા. નાદુરસ્ત તબિયત અને પ્રતિકૂળ વાતાવરણને કારણે પોતે આવી શક્યા નહોતા પરંતુ તેમણે પોતાનું વક્તવ્ય મોકલી આપ્યું હતું. એ વક્તવ્ય ગુસાઅ(યુકે)ના મહામંત્રી અને કવિ પંચમ શુક્લએ વાંચી સંભળાવ્યું. ટોપીવાળાસાહેબે પુસ્તકના સંપાદકીયની ખૂબ પ્રશંસા કરી હતી. સમગ્ર પુસ્તકનો સાર એમાં આવી જાય છે એમ તેમણે કહ્યું હતું. તેમણે પણ અનુવાદકોને હાંસિયામાં ધકેલી દેવાયાની વાત નોંધી હતી. અનુવાદમાં અનુવાદકોએ કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે એ વાત તેમણે ચીંધી બતાવી હતી અને પીયૂષ જોશીના અનુવાદને આ પુસ્તકનો સર્વોત્તમ અનુવાદ ગણાવ્યો હતો. માણસના ગયા પછી પણ તેનો અક્ષરદેહ કેવો જીવંત રહે છે, તે વાત અનુભવીને બધાએ મનોમન પીયૂષભાઈને વંદી લીધા હશે એ નક્કી!

પંચમ શુક્લ દ્વારા આભારદર્શન

કાર્યક્રમના અંતમાં ગુસાઅ(યુકે) વતી પંચમ શુક્લએ આભારદર્શન કર્યું હતું. તેમણે સદેહે, અક્ષરદેહે અને ડિજિટલદેહે હાજર સર્વેનો આભાર માન્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘ગ્રંથવિહાર’ ચલાવતા હંસાબેન આ પ્રસંગે પણ પોતાની સેવા આપવા પુસ્તકો સાથે હાજર હતા માટે તેમનો સવિશેષ આભાર માનવામાં આવ્યો હતો. શ્રોતાગણમાં જાહેર જનતા અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની સાથે સાથે કવિ રાજેન્દ્ર શુક્લ, કૃષ્ણ દવે, ઉષાબેન ઉપાધ્યાય, સંજય ભાવે, અજયસિંહ ચૌહાણ જેવા ઘણા સાહિત્યકારો અને રસિકજનો પણ હાજર હતા. તે સર્વેનો આભાર પણ પંચમભાઈએ માન્યો હતો.

ઉષા ઉપાધ્યાય અને સંજય ભાવે દ્વારા પ્રતિભાવ

કાર્યક્રમ સમય મર્યાદા કરતા ઘણો વધારે ચાલ્યો હતો માટે કાર્યક્રમ પત્યા પછી સમયના બંધનને ધ્યાનમાં રાખીને ઉષાબેન ઉપાધ્યાયે એકદમ ટૂંકો અને પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો. જોકે સંજય ભાવેને સમયનું બંધન નહોતું નડ્યું અને તેમણે અધ્યક્ષીય ઉદબોધનથી પણ ઘણો દીર્ઘ અને સવિસ્તાર પ્રતિભાવ આપ્યો હતો. તેમને ‘સાહિત્યત્વ’ શબ્દ અને પુસ્તક બંને ગમ્યા હતા અને તેમણે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો.

અંતે…

2016માં બોબ ડિલનને સાહિત્યનું પારિતોષિક જાહેર થયું તેને સ્વીકારતી વખતે તેમણે જે વક્તવ્ય આપ્યું હતું તેનો અનુવાદ કરવાનો મોકો મને આપ્યો તે માટે વિપુલભાઈ કલ્યાણી, પંચમ શુક્લ, અદમ ટંકારવી અને સમગ્ર ગુસાઅ(યુકે) ટીમનો આભાર માનું છું. નોબેલ પારિતોષિક તો એક સદી કરતાં પણ વધારે સમયથી અપાય છે તો અન્ય વક્તવ્યોનો અનુવાદ ક્યારે કરીશું એવા પ્રશ્ન સાથે વિરમું છું.

(આ પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘ગ્રંથવિહાર’ (ફોનઃ +91-79-26587949) દ્વારા તેમજ બુકપ્રથા પરથી ઓનલાઈન મંગાવી શકાશે.)

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)