અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર

Translation-Playing-With-Languages-Joyfully-Ramanik-Someshwar-Chirag-Thakkar-Jay #chiragthakkar #chiragthakkarjay #Translation #RaagChirag #રાગચિરાગ #writer #translator #speaker #author #reader #RamanikSomeshwar

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં એ ત્રણેય પ્રસિદ્ધ થયાં હતાં. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. ત્રણેય વક્તવ્યો સાંભળવામાં પણ મજા આવી હતી માટે આપની સમક્ષ ગમતાનો ગુલાલ!)

ભાષા એટલે સૃષ્ટિનો અનુવાદ

કવિ બોદલેરે કવિઓને વૈશ્વિક ભાષાંતરકારો કહ્યા છે. એમના મતે કવિઓ સૃષ્ટિની ભાષા એટલે કે તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ, આદિનું મનુષ્યની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો પ્રત્યેક ભાષા પોતે જ એક અનુવાદ છે – સૃષ્ટિની ભાષાનો, પરિવેશનો અરે, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવ-ભાષામાં અનુવાદ.

અનુવાદની ઉત્કંઠાનું અવતરણ

હવે, ભાષાઓ તો અસંખ્ય અને પ્રત્યેક ભાષાનું આગવું વ્યક્તિત્વ. અનેક સ્તરો ભાષાના અને દરેક સ્તરના વિભિન્ન રંગો, વળી રંગે રંગે આગવી છટાઓ, ધ્વનિઓ, ભાવ સંદર્ભો. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ ‘કોઈપણ બે ભાષા બધી જ વસ્તુ એક જ રીતે કહેતી નથી. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટરીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.’ હવે જરા વિચાર કરીએ તો જણાશે કે ભાષાઓ તો અનેક પણ એના ભાષક એવા માણસનો માંહ્યલો બધે જ એક. એના સંવેદનના રણકા૨માં સંવાદી સૂરો સંભળાયા કરે. તેથી જ કદાચ પોતાની ભાષા સિવાયની ભાષાઓમાં પ્રકટ થતા સંવેદનના સૂરો ઝીલવાની ઉત્કંઠા માણસના મનમાં જાગતી હશે અને એમાંથી જ જન્મ્યો હશે અનુવાદનો વિચાર, એ રીતે અવતરી હશે અનુવાદની ભાષા.

Continue reading “અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર”

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા

Creative-Translation-Problems-Darshand-Dholakia-Chirag-Thakkar-Jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. શ્રીમતી દર્શના ધોળકિયાએ આપેલું વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. દર્શનાબહેને અનુવાદ અંગે વિગતવાર અને અઢળક ઉદાહરણો સહિત એવી માંડીને વાત કરી છે કે તેમનું વક્તવ્ય સાંભળવામાં પણ મજા આવી હતી અને આ લેખ પણ સાદ્યંત વાંચી જવા જેવો છે.)

સર્જન અને અનુવાદ

સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; ૨સાનુભવ અને આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫) આવો ૨સાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.

સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્ત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ ‘…ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે…’

ભાષાન્ત૨ અને અનુવાદ

કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છેઃ ભાષાન્ત૨ અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સ૨ણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા, ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉ૫૨ ભા૨ મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે, કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી. મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ. દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.

અનુવાદની અશક્યતા

Continue reading “સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા”

અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં શ્રી રમણ સોની વતી અપાયેલું અધ્યક્ષીય વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. શ્રી રમણ સોનીએ તેમાં પ્રારંભે અનુવાદ એટલે શું અને અનુવાદનાં વિવિધ રૂપો અંગે ભૂમિકા બાંધી છે. એ પછી તેમણે અનુવાદકના પક્ષેથી અનુવાદની કળા અને તે અંગેના જરૂરી ગુણોની વાત કરી છે. પછી તેમણે વાચક પક્ષેથી સજ્જ ભાવક અને અનુવાદની સફળતા-નિષ્ફળતાની વાત કરી છે. અંતે તેમણે પરિષદને સુપ્ત અવસ્થામાં સરી પડેલા તેમના ‘અનુવાદ કેન્દ્ર’ને જાગૃત કરવાની ટકોર કરી છે. બેઠકમાં તેઓ સ્વયં હાજર નહોતા રહી શક્યા માટે તેમનું આ વક્તવ્ય અન્ય કોઈ દ્વારા વાંચવામાં આવ્યું હતું.)

ભૂમિકા

પ્રમુખશ્રી, સાથી વક્તા-મિત્રો તથા સુજ્ઞ સાહિત્યરસિકો. આ બેઠકના આરંભે, અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી ક૨વી છે – અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.

પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.

અનુવાદના રૂપો

તૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વૉયના ઈ મી૨’ના અંગ્રેજીમાં ‘વૉર ઍન્ડ પીસ’ નામે ઘણા અનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ’નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી… અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે – બે ભાષાઓ વચ્ચેના નાનાસ૨ખા અવકાશમાં આકાર લેતો સંવાદ’ 1 એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે’, એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ’ કહેવાથી ઉમેરાય છે – એ છે મૂળ કૃતિનાં સ્પર્શ અને સૂર. કેમકે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે. પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમજ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત ૫૨ ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તા૨માં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ-વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.

Continue reading “અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની”