ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay

પુસ્તકની શરૂઆતમાં જ વાંચ્યુંઃ “અર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણને” અને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે આ કોઈ બીબાંઢાળ પુસ્તક નથી.

પછી ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે…મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધુ આપણી પર જ છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.

પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા છે પણ તે ખૂબ જ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પાના નંબર 25 પર નાયક કહે છે કે “આ નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.” ત્યારે આપણને આ નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે.

શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, “ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.” (પાના નં. 21) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, “હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.” (પાના નં. 32) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે, “આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.” (પાના નં. 28)

Continue reading “ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’”

શું પાર્ટી, ઓળખાણ પડી?

Facial Recognition Hasyalekh Chirag Thakkar Jay

સામાજિક પ્રસંગમાં કે જાહેર સ્થળે અચાનક કોઈ આવીને ખભે હાથ મૂકીને અસલ અમદાવાદી સ્ટાઇલમાં પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે ટોપલેસ બારમાં જઈ ચડેલા અંડર-એજ કિશોર જેવી મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા થાય છે. કહેવું હોય કે “પડે જ ને…કેમ ઓળખાણ ન પડે?” પણ જો ઓળખાણ ન પડી હોય તો મારા જેવાની શું હાલત થાય?

ચહેરાઓ યાદ રાખવા બાબતે મારી પરિસ્થિતિ એટલી આદર્શ છે કે જો મારી સામે માધુરી દીક્ષિતની દસ અલગ-અલગ તસવીરો મૂકવામાં આવે અને એવો પડકાર ફેંકવામાં આવે કે “આમાંથી માધુરી ઓળખી બતાવ તો જરા…” તો એવા સમયે હું અચૂક મૂંઝાઈ જાઉં. વધુમાં વધુ સારું પરિણામ એ મળી શકે કે હું કોઈ ત્રણ તસવીરો પસંદ કરીને એમ કહું, “આ ત્રણમાંથી એક માધુરી હોવી જોઇએ.”

પૂછનારા રસિકજનો પાછા એમ પણ પૂછશે કે ‘લગભગ’ નિવૃત્ત થઈ ગયેલી માધુરીના બદલે કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ કે પ્રિયંકા ચોપરા જેવી હિરોઇન કે પૂનમ પાંડે, સની લિઓની જેવી સમાજ સેવિકાઓનું ઉદાહરણ આજના સમયમાં વધારે યોગ્ય ન ગણાત? પણ એનો જવાબ એમ છે કે આ લેખ ચહેરાઓની સ્મૃતિ વિષે છે અને આ સન્નારીઓ ચહેરાને બતાવવા જેવું અંગ જ ક્યાં માને છે?! એમના ચહેરા સામે જોવા જતા આડેપાટે ચડી જવાનો ભય વધારે હોય છે. જોયું, આ નાનકડા લેખનો એક આખો ફકરો પણ આડેપાટે ચડી ગયોને!

હા, તો મૂળ વાત છે ચહેરા યાદ રાખવાની અને આપણી (એટલે કે મારી) એ બાબતની શક્તિ એકદમ ઓછી છે. ફેસિયલ રિકોગ્નિશનના સોફ્ટવેરમાં જ ખામી હશે. એમાંય કેટલાંક વર્ષો ભારત બહાર રહ્યા પછી સમયની જંગી સોયે કેટલીય સ્મૃતિઓને ગ્રામોફોન રેકર્ડની જેમ ઘસી નાખી છે. એમાં પણ જ્યારે કોઇ સામાજિક પ્રસંગે ભરપેટ પકવાનો ખાઇને આઇસ્ક્રીમ ખાતા હોઇએ ત્યારે તો શરીરના તમામ અંગો ‘હાઇબરનેટ’ થવાની તૈયારીમાં લાગી ગયા હોય છે. શીતનિંદ્રાના પૂર્વાલાપ જેવી એ પરિસ્થિતિમાં કોઇ ચહેરો અચાનક આપણા ચહેરાની બરોબર સામે ઝળૂંબતા ઝળૂંબતા એમ પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે વાસ્તવમાં ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે.

Continue reading “શું પાર્ટી, ઓળખાણ પડી?”

શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?

Translation As A Career English To Gujarati Translation Gujarati To English Translation Chirag Thakkar Jay

પ્રતિક્રિયાઓનો વરસાદ

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો વાળા મારા લેખના જવાબમાં પ્રતિક્રિયાઓનો વરસાદ વરસી ગયો. બ્લોગ પર કોમેન્ટ સ્વરૂપે તેમજ અંગત ઇમેલ અને વિવિધ સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ મેસેજ સ્વરૂપે પણ. એ બદલ આપ સૌનો આભાર. આનાથી વધારે આનંદની ક્ષણ તો કઈ હોઈ શકે?

આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રતિક્રિયાઓ રહી. પ્રથમ પ્રકારની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં કામ કરનારાઓ મિત્રોની. તેમણે પોતાની સહમતિ દર્શાવી અને અંગત અનુભવો પણ વહેંચ્યા.

બીજા પ્રકારની પ્રતિક્રિયા આવી યુવામિત્રો તરફથી. તેમણે અલગ અલગ રીતે એમ પૂછ્યું છે કે “શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?” આજે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

અનુવાદ કોણ કરી શકે?

અનુવાદ કોણ કરી શકે? અનુવાદક બનવા માટે શું કરવું જોઈએ? ક્વોલિફિકેશન્સ? કોર્સ? કોઇ ડાઉનસાઇડ? તકો?

આ પ્રશ્નોનો ટૂંકો જવાબઃ કોઈ પણ બે ભાષાઓનું (Source Language & Target Language) પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ અનુવાદ કરી શકે છે. એના માટે અન્ય કોઈ જ વિશેષ લાયકાતની જરૂરિયાત નથી.

આ પ્રશ્નોનો સવિસ્તાર જવાબ હવે આપું.

Continue reading “શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?”

International Women’s Dayના દિવસે આયેશાની વાતઃ નિષ્ફળતાઓથી ડરતો અને ડરાવતો સમાજ

International Women's Day Acceptance of Failure Chirag Thakkar

આવતીકાલે 8 માર્ચે International Women’s Day છે, ત્યારે અમદાવાદની એક યુવતીએ ઉઠાવેલા અંતિમ પગલાંની અને તેના પ્રત્યાઘાતોની ચર્ચા અસ્થાને નહીં ગણાય કારણ કે એ મુદ્દો આપણા સમાજ માટે તો મહત્વનો છે જ, પણ સ્ત્રીઓ માટે વિશેષ મહત્વનો છે.

અમદાવાદમાં બનેલી આયેશાની ઘટનાએ માત્ર અમદાવાદ કે ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને અને પડોશી દેશોને પણ વિચારે ચડાવી દીધાં છે. તેના વિષે ઘણી વાતો થઇ અને ઘણા યોગ્ય મુદ્દા પણ જાહેરમાં લખાયા અને ચર્ચાયા છે. જેમ કે,

(1) મોટાભાગે વાત થઇ દહેજપ્રથાની, જેને બધાએ વખોડી કાઢી. પણ જ્યારે એ વિચારને અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે શું થાય છે, એ પણ ટૂંકમાં નોંધવા જેવું છે. દહેજપ્રથાના દૂષણ અંગે ભણી ભણીને બે પેઢીઓ મોટી થઇ ગઇ છે એટલે સામેથી મોંઢું ફાડીને દહેજ માંગનારા લોકો તો ઘટ્યા છે પરંતુ દહેજપ્રથા છૂપા સ્વરૂપે તો ચાલું જ છે. એ છહ્મવેષ આવા સંવાદો હેઠળ રચાતો હોય છેઃ “અમે તો છોકરીવાળા પાસે કંઇ માંગ્યું નથી. એમણે રાજીખુશીથી જે આપવું હોય એ આપે.” અથવા “એ લોકો એમની છોકરીને આપે એમાં આપણાથી કંઈ ના થોડી પડાય? આપણે ક્યાં કંઇ કીધું છે?” તમે ભીખ માંગતા ન હોવ તેમ છતાં કોઇ તમારા હાથમાં રૂપિયા મૂકી જાય, તો તેને તમે સ્વીકારશો કે સ્વમાનભેર ના પાડશો?

બીજું, આવું કહ્યાં છતાં ઘણીવાર મોટાભાઇની કે સગા-વહાલાની વહુઓ શું-શું લઇને આવી હતી તેની માહિતી ગમે તે રીતે સામેવાળાને પહોંચી જ જાય છે. આમ સીધી નહીં પણ આડકતરી રીતે તો સૂચવી દેવામાં આવે જ છે કે વહુએ શું શું લઇને આવવું જોઇએ.

Continue reading “International Women’s Dayના દિવસે આયેશાની વાતઃ નિષ્ફળતાઓથી ડરતો અને ડરાવતો સમાજ”

‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર

આમ તો બધાના જીવન ઘડતરમાં વાંચન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શિક્ષકો અને લેખકો-પત્રકારો માટે તો તે અનિવાર્ય છે. દુર્ભાગ્યે એવા શિક્ષકો અને લેખકો-પત્રકારોની સંખ્યા હવે ઘટી રહી છે. ત્યારે લોકપ્રિય લેખિકા વર્ષા પાઠકે મારો લેખ ‘વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ‘ વાંચ્યો, ઇમેલ પર તેનો સુંદર પ્રતિભાવ આપ્યો અને પોતાની ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં ચાલતી કોલમ ‘આપણી વાત’ માં પણ તેના વિષે વાત કરી, તેનો ઋણસ્વીકાર!

Continue reading “‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર”

“ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Sita Warrior of Mithila

ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’

વકીલ કહે, ‘ના…’

હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’

વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”

મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”

થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.

Continue reading ““ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો”

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

Gujarati To English Translation Chirag Thakkar Jay

પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 150થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!

કાયમ પૂછાતો પ્રશ્ન

Gujarati To English Translation Chirag Thakkar Jay

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.

Continue reading “પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો”

વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!

International Mother Language Day Gujarati

સમગ્ર વિશ્વમાં આજે 21મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાય છે અને નિયમાનુસાર ફોરવર્ડોત્સવ પણ ઉજવાઇ જાય છે. તેમાં જાતભાતના મૂર્ખતાપ્રચુર અને અજ્ઞાનસભર સંદેશાઓ જ હોય છે. ગુજરાતી ભાષાને લગતી કે અન્ય અર્થસભર વાત તો એવા સંદેશાઓમાં, રાબેતા મુજબ, ભાગ્યે જ જોવા મળે છે. જુઓ, આ રહ્યાં તેનાં અમુક ઉદાહરણોઃ

ફોરવર્ડોત્સવ

  • ગુજરાતીમાં વરસાદ (કે ફલાણા-ઢીંકણા) માટે આટલા શબ્દો છે (પછી એ શબ્દોની યાદી હોય), અંગ્રેજી (અથવા અન્ય કોઇ ભાષા)માં આવી સમૃદ્ધિ છે? એમ તો એસ્કિમોની ભાષામાં બરફના 100થી વધારે પર્યાય છે અને એ દરેકનો ચોક્કસ અર્થ પણ થતો હોય છે. અરેબિક ભાષામાં ઊંટ માટે એક હજાર જેટલા પર્યાય છે અને તે પણ ચોક્કસ અર્થ ધરાવતા હોય છે. તો શું એસ્કિમોને કે અરબસ્તાની લોકોને ગુજરાતીઓને ઉતારી પાડવાનો અધિકાર મળી જશે? એ તો જે તે પ્રદેશની સંસ્કૃતિ અનુસાર ત્યાં ભાષા વિકસી હોય. એ વિકાસમાં ભાષા સમૃદ્ધિ તો પરિણામ સ્વરૂપ હોય છે, કારણ તો જરૂરિયાત જ હોવાની. આવા કારણે એક ભાષા મહાન અને બીજી તુચ્છ એવી સરખામણી કોઇ કરી જ કેવી રીતે શકે?
  • જલેબી (અથવા તો ભજીયાં જેવી ખાવાની વાનગીના નામ)નું અંગ્રેજી કરી બતાવો વાળો સંદેશો ફોરવર્ડ કરીને મૂછો આમળતો વર્ગ પણ ઘણો મોટો છે. પંજાબી ભટૂરાને આપણે ભટૂરા જ કહીએ છીએ અને બંગાળી સોંદેશનું આપણે વધુમાં વધુ સંદેશ જ કર્યું છે ને? મંચુરિયન, મોમો કે સેન્ડવીચ, સિઝલર્સના સ્વાદનું ગુજરાતીકરણ કર્યું હશે પણ નામનું ગુજરાતીકરણ કર્યું છે?
Continue reading “વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!”

ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા

Ashwinee Bhatt Othar Gujarati Historical Novel Chirag Thakkar Jay

જ્યારે મારાં ગમતાં પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ જાઉં છુ. એકાદ હજાર પુસ્તકો તો ગમે જ છે. એ બધાની યાદી કેવી રીતે બનાવવી? જોકે તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ થતી નથી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા એ યાદીમાં પ્રથમ ક્રમે જ આવે છે.

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા 001
The Ashwinee Bhatt એટલે કે આપણા પ્રિય અશ્વિની દાદા

પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું, “અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.” ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી સતત આકર્ષાયેલો રહ્યો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.

Continue reading “ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા”

‘અભિન્ન’ : જૂનાં સરનામે નવું ઘર

Chirag Thakkar Jay Writer Translator New Blog Old Address

‘અભિન્ન’ પર આપ સર્વેનું પુનઃ સ્વાગત છે! સરનામું જૂનું જ છે પરંતુ અહીં ઘરનું બાંધકામ નવેસરથી થઈ રહ્યું છે.

‘Your Google Account Disabled’થી સર્જાયેલી ડિજિટલ સમસ્યા

29/1/21ની સવારે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે મારું 2004થી કાર્યરત એવું જીમેલ અકાઉન્ટ chiragthakkar.jay@gmail.com બંધ કરવામાં આવ્યું છે અને તેને રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરવાની લિંક પણ સાથે હતી. ચેક કર્યું, તો સાચે જ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે અકાઉન્ટ રિસ્ટોર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. સૌથી જૂનું ગૂગલ અકાઉન્ટ હોવાને કારણે તેમાં ફોટોઝ, વિડિયોઝ, કોન્ટેક્સ, ડોક્યુમેન્ટ્સ, બ્લોગ બધું જ સચવાયેલું હતું. કુલ 4 વાર પ્રયત્ન કર્યો પરંતુ 3 વાર એમ જ જવાબ આવ્યો કે (કોઇ અગમ્ય) ‘Policy Violation’ ને કારણે મારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોથીવાર તો જવાબ આપવાની તસદી પણ લેવામાં આવી નહીં. એ પહેલા કોઇ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી. એટલે કઈ પોલિસીનું વાયોલેશન થયું છે, એ પણ હું જાણી શક્યો નથી.

સદ્નસીબે, તમામ ડેટાનો બેકઅપ છે જ. એમાં માત્ર ગૂગલના ભરોસે ન રહ્યો, તે સારું થયું. મારો બ્લોગ www.chiragthakkar.me ગૂગલે ખરીદી લીધેલા પ્લેટફોર્મ બ્લોગર પર જ ચાલતો હતો (આમ જોવા જઇએ તો હમણાંથી તો દોડતો હતો!) અને એ આઈડીથી જ ચાલતો હતો, માટે એ બ્લોગ પણ ઓફલાઇન થઈ ગયો હતો.

હવે જાણકાર મિત્રોની સલાહ અનુસાર WordPress.com પર આવી ગયો છું અને ટૂંક સમયમાં આપ સર્વે સમક્ષ પાછો હાજર થઈશ. નવા લેખોની સાથે સાથે જૂના લેખો પણ મઠારીને અહીં પાછા મૂકવાની ગણતરી છે.
તો આવતા રહેજો અહીં!

સસ્નેહ,

ચિરાગ ઠક્કર ‘જય’

P.S. આમ તો “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ” માનીને ગૂગલ-મુક્ત ડિજિટલ જીવન શરૂ તો કર્યું છે પરંતુ ગૂગલ મહારાજથી સો ટકા મુક્તિ તો નહીં જ મળે એમ લાગી રહ્યું છે!

P.S.2 માત્ર એક સર્વિસના ભરોસે રહેવાને બદલે અલગ અલગ સર્વિસિઝ વાપરજો અને બેક-અપ નિયમિત લેતા રહેજો.