ગઈકાલે જાહેર થયેલા બુકર પ્રાઇઝના વિજેતા છે હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ના લેખિકા ગીતાંજલી શ્રી. આ પહેલાં પણ ભારતીય કે ભારતીય મૂળના લેખકોને આ સન્માન મળ્યું છે પરંતુ એ તમામનું સર્જન અંગ્રેજી ભાષામાં જ હતું. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મૂળ હિન્દીમાં લખાયેલી નવલકથાના ડેઇઝી રોકવેલ દ્વારા કરવામાં આવેલા હિન્દીથી અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’ને આ ઇનામ મળ્યું છે. એ વાત પણ નોંધપાત્ર છે કે બુકર પ્રાઇઝની ધનરાશિ લેખક અને અનુવાદકમાં સમાન હિસ્સે વહેંચાય છે.
આમ તો ભારતનું પ્રથમ નોબલ પ્રાઈઝ પણ 1913માં રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ના બંગાળીથી અંગ્રેજી અનુવાદ ‘Song Offerings’ને જ મળ્યું હતું. એ અનુવાદ જોકે ગુરુદેવે પોતે જ કર્યો હતો પણ હતો તો એ અનુવાદ જ.
અનુવાદ અને અનુવાદકોનો મહિમા
તેમ છતાં આપણે અનુવાદ અને અનુવાદકોનો યોગ્ય મહિમા કર્યો નથી. એ સંદર્ભે ગઈકાલે ‘લલ્લનટોપ શો’ પર થયેલી આ વાત પણ જોવા અને વિચારવા જેવી છે. જુઓ નીચેના વીડિયોમાંઃ
મેં તો આ પહેલાં પણ લખ્યું છે અને ઘણીવાર ઘણા મહત્વના લોકોને ગાઈવગાડીને કહ્યું પણ છે કે “સમાજ જેને પોષે છે, એ જ વસ્તુ સમાજને મળે છે. જો ગુજરાતી સાહિત્યને વૈશ્વિક ઓળખ પામવા વિશ્વભાષામાં અવતરવું હશે, તો એ સેતુ બાંધનાર અનુવાદકોને ગુજરાતી સમાજે જ પોષવા પડશે અને તેમની ક્ષમતા અનુસાર વળતર પણ આપવું પડશે.”
નોબલ પ્રાઈઝથી બુકર પ્રાઇઝ સુધી અને’ગીતાંજલિ’થી ‘રેતસમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતાને યોગ્ય ગરિમા અપાવવા માટેની એ જ અરજીના સ્મૃતિપત્રહેઠળ ફરી એકવાર મારી સહી કરું છું.