આમ તો બધાના જીવન ઘડતરમાં વાંચન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શિક્ષકો અને લેખકો-પત્રકારો માટે તો તે અનિવાર્ય છે. દુર્ભાગ્યે એવા શિક્ષકો અને લેખકો-પત્રકારોની સંખ્યા હવે ઘટી રહી છે. ત્યારે લોકપ્રિય લેખિકા વર્ષા પાઠકે મારો લેખ ‘વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ‘ વાંચ્યો, ઇમેલ પર તેનો સુંદર પ્રતિભાવ આપ્યો અને પોતાની ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં ચાલતી કોલમ ‘આપણી વાત’ માં પણ તેના વિષે વાત કરી, તેનો ઋણસ્વીકાર!
Continue reading “‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર”Tag: Chirag Thakkar Jay
“ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો
ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’
વકીલ કહે, ‘ના…’
હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’
વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”
મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”
થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.
Continue reading ““ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો”પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો
પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!
કાયમ પૂછાતો પ્રશ્ન

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.
Continue reading “પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો”વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!
સમગ્ર વિશ્વમાં આજે 21મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાય છે અને નિયમાનુસાર ફોરવર્ડોત્સવ પણ ઉજવાઇ જાય છે. તેમાં જાતભાતના મૂર્ખતાપ્રચુર અને અજ્ઞાનસભર સંદેશાઓ જ હોય છે. ગુજરાતી ભાષાને લગતી કે અન્ય અર્થસભર વાત તો એવા સંદેશાઓમાં, રાબેતા મુજબ, ભાગ્યે જ જોવા મળે છે. જુઓ, આ રહ્યાં તેનાં અમુક ઉદાહરણોઃ
ફોરવર્ડોત્સવ
- ગુજરાતીમાં વરસાદ (કે ફલાણા-ઢીંકણા) માટે આટલા શબ્દો છે (પછી એ શબ્દોની યાદી હોય), અંગ્રેજી (અથવા અન્ય કોઇ ભાષા)માં આવી સમૃદ્ધિ છે? એમ તો એસ્કિમોની ભાષામાં બરફના 100થી વધારે પર્યાય છે અને એ દરેકનો ચોક્કસ અર્થ પણ થતો હોય છે. અરેબિક ભાષામાં ઊંટ માટે એક હજાર જેટલા પર્યાય છે અને તે પણ ચોક્કસ અર્થ ધરાવતા હોય છે. તો શું એસ્કિમોને કે અરબસ્તાની લોકોને ગુજરાતીઓને ઉતારી પાડવાનો અધિકાર મળી જશે? એ તો જે તે પ્રદેશની સંસ્કૃતિ અનુસાર ત્યાં ભાષા વિકસી હોય. એ વિકાસમાં ભાષા સમૃદ્ધિ તો પરિણામ સ્વરૂપ હોય છે, કારણ તો જરૂરિયાત જ હોવાની. આવા કારણે એક ભાષા મહાન અને બીજી તુચ્છ એવી સરખામણી કોઇ કરી જ કેવી રીતે શકે?
- જલેબી (અથવા તો ભજીયાં જેવી ખાવાની વાનગીના નામ)નું અંગ્રેજી કરી બતાવો વાળો સંદેશો ફોરવર્ડ કરીને મૂછો આમળતો વર્ગ પણ ઘણો મોટો છે. પંજાબી ભટૂરાને આપણે ભટૂરા જ કહીએ છીએ અને બંગાળી સોંદેશનું આપણે વધુમાં વધુ સંદેશ જ કર્યું છે ને? મંચુરિયન, મોમો કે સેન્ડવીચ, સિઝલર્સના સ્વાદનું ગુજરાતીકરણ કર્યું હશે પણ નામનું ગુજરાતીકરણ કર્યું છે?
ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા
જ્યારે મારાં ગમતાં પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ જાઉં છુ. એકાદ હજાર પુસ્તકો તો ગમે જ છે. એ બધાની યાદી કેવી રીતે બનાવવી? જોકે તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ થતી નથી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા એ યાદીમાં પ્રથમ ક્રમે જ આવે છે.

પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું, “અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.” ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી સતત આકર્ષાયેલો રહ્યો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.
Continue reading “ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા”‘અભિન્ન’ : જૂનાં સરનામે નવું ઘર

‘અભિન્ન’ પર આપ સર્વેનું પુનઃ સ્વાગત છે! સરનામું જૂનું જ છે પરંતુ અહીં ઘરનું બાંધકામ નવેસરથી થઈ રહ્યું છે.
‘Your Google Account Disabled’થી સર્જાયેલી ડિજિટલ સમસ્યા
29/1/21ની સવારે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે મારું 2004થી કાર્યરત એવું જીમેલ અકાઉન્ટ chiragthakkar.jay@gmail.com બંધ કરવામાં આવ્યું છે અને તેને રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરવાની લિંક પણ સાથે હતી. ચેક કર્યું, તો સાચે જ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે અકાઉન્ટ રિસ્ટોર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. સૌથી જૂનું ગૂગલ અકાઉન્ટ હોવાને કારણે તેમાં ફોટોઝ, વિડિયોઝ, કોન્ટેક્સ, ડોક્યુમેન્ટ્સ, બ્લોગ બધું જ સચવાયેલું હતું. કુલ 4 વાર પ્રયત્ન કર્યો પરંતુ 3 વાર એમ જ જવાબ આવ્યો કે (કોઇ અગમ્ય) ‘Policy Violation’ ને કારણે મારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોથીવાર તો જવાબ આપવાની તસદી પણ લેવામાં આવી નહીં. એ પહેલા કોઇ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી. એટલે કઈ પોલિસીનું વાયોલેશન થયું છે, એ પણ હું જાણી શક્યો નથી.
સદ્નસીબે, તમામ ડેટાનો બેકઅપ છે જ. એમાં માત્ર ગૂગલના ભરોસે ન રહ્યો, તે સારું થયું. મારો બ્લોગ www.chiragthakkar.me ગૂગલે ખરીદી લીધેલા પ્લેટફોર્મ બ્લોગર પર જ ચાલતો હતો (આમ જોવા જઇએ તો હમણાંથી તો દોડતો હતો!) અને એ આઈડીથી જ ચાલતો હતો, માટે એ બ્લોગ પણ ઓફલાઇન થઈ ગયો હતો.
હવે જાણકાર મિત્રોની સલાહ અનુસાર WordPress.com પર આવી ગયો છું અને ટૂંક સમયમાં આપ સર્વે સમક્ષ પાછો હાજર થઈશ. નવા લેખોની સાથે સાથે જૂના લેખો પણ મઠારીને અહીં પાછા મૂકવાની ગણતરી છે.
તો આવતા રહેજો અહીં!
સસ્નેહ,
ચિરાગ ઠક્કર ‘જય’
P.S. આમ તો “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ” માનીને ગૂગલ-મુક્ત ડિજિટલ જીવન શરૂ તો કર્યું છે પરંતુ ગૂગલ મહારાજથી સો ટકા મુક્તિ તો નહીં જ મળે એમ લાગી રહ્યું છે!
P.S.2 માત્ર એક સર્વિસના ભરોસે રહેવાને બદલે અલગ અલગ સર્વિસિઝ વાપરજો અને બેક-અપ નિયમિત લેતા રહેજો.